March 21, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

વેદાંત ગ્રુપના દીકરાના આકસ્મિક નિધનથી ઉદ્યોગ જગતમાં શોક, જાણો કોણ સંભાળશે અનિલ અગ્રવાલનો અબજોનો બિઝનેસ?

Spread the love

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં સામેલ વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. તેમના 49 વર્ષના દીકરા અગ્નિવેશ અગ્રવાલના અચાનક નિધને સમગ્ર પરિવારને હચમચાવી દીધો છે. નાની વયમાં દીકરાની અચાનક એક્ઝિટથી પરિવાર જ નહીં, પરંતુ ઉદ્યોગજગતના લોકોને પણ આઘાત લાગ્યો છે. આ દુઃખદ ઘડીમાં સોશિયલ મીડિયા પર પર લોકોએ સંવેદના વ્યક્ત કરી છે, તો બીજી તરફ અનિલ અગ્રવાલના પુત્રના નિધન બાદ હવે લોકો આ દિગ્ગજ ઉદ્યોગપતિના પરિવાર અને તેમના વારસા વિશે જાણવા માંગે છે કે કોણ છે પરિવાર અને કોણ સંભાળશે અબજોનું સામ્રાજ્ય.

અનિલ અગ્રવાલ Vedanta Resourcesના સ્થાપક અને ચેરમેન છે. તેમણે 1976માં આ કંપનીની શરૂઆત એક નાની કેબલ કંપનીથી કરી હતી. ખૂબ જ નાની ઉંમરે તેમણે પોતાના પિતા સાથે સ્ક્રેપના કામકાજથી બિઝનેસની દુનિયામાં કદમ રાખ્યો હતો. અનેકવાર નિષ્ફળ ગયા પછી પણ તેમણે હાર માની નહીં અને ધીમે-ધીમે વેદાંત ગ્રુપએ મેટલ, માઇનિંગ, પાવર અને ઓઇલ જેવા મોટા સેક્ટરમાં સ્થાપિત કરી. એક સાધારણ પરિવારમાંથી આવીને અબજોની કંપની બનાવનાર અનિલ અગ્રવાલની સંઘર્ષભરી સ્ટોરી પણ સામાન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક છે.

અનિલ અગ્રવાલનો પરિવાર હંમેશાં તેમની સાદગી માટે જાણીતો રહ્યો છે. પરિવારમાં તેમના પત્ની કિરણ અગ્રવાલ છે, જે લાઈમલાઈટથી દૂર રહીને પરિવારની સંભાળી રહ્યા છે. તેમને બે સંતાનો હતા – પુત્ર અગ્નિવેશ અગ્રવાલ અને પુત્રી પ્રિયા અગ્રવાલ. તાજેતરમાં જ પુત્ર અગ્નિવેશનું અમેરિકામાં સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે, જેના કારણે સમગ્ર પરિવાર ઊંડા શોકમાં છે. પુત્રના નિધન બાદ અગ્નિવેશ વિશે જણાવતા અનિલ અગ્રવાલે કહ્યું કે તે માત્ર એક પુત્ર જ નહીં, પરંતુ તેમનો સૌથી નજીકનો મિત્ર હતો, જેનું મને ગૌરવ હતું.

દીકરી પ્રિયા અગ્રવાલના ખભા પર જવાબદારી
તેમની પુત્રી પ્રિયા અગ્રવાલ હાલમાં Vedanta અને Hindustan Zincના બોર્ડમાં સામેલ છે અને હિન્દુસ્તાન ઝિંકનાં ચેરપર્સન તરીકે મોટી જવાબદારીઓ સંભાળી રહ્યા છે. બિઝનેસમાં તેમની પકડ મજબૂત માનવામાં આવે છે અને આગામી સમયમાં વેદાંતની જવાબદારી તેમના ખભા પર રહેવાની અપેક્ષા છે.

અનિલ અગ્રવાલની કુલ સંપત્તિ કેટલી છે?
એક સ્ક્રેપ (ભંગાર) વેપારી તરીકે પોતાની સફર શરૂ કરનાર અનિલ અગ્રવાલ આજે ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ છે. ફોર્બ્સ (Forbes) ના તાજેતરના અહેવાલ મુજબ, અનિલ અગ્રવાલ અને તેમના પરિવારની કુલ સંપત્તિ લગભગ 4.2 અબજ ડોલર એટલે કે આશરે 35,000 કરોડ રૂપિયા છે.
વેદાંત વર્ષ 2003માં London Stock Exchange માં લિસ્ટ થનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. બાદમાં 2019 માં અનિલ અગ્રવાલે કંપનીને ફરીથી પ્રાઇવેટ કરી દીધી. મેટલ, માઇનિંગ, પાવર અને ઓઇલ એન્ડ ગેસ જેવા મોટા સેક્ટરમાં ફેલાયેલો વેદાંત ગ્રુપનો બિઝનેસ આજે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ફેલાયેલો છે.


75% સંપત્તિ દાન કરવાનો સંકલ્પ
આટલી મોટી સંપત્તિના માલિક હોવા છતાં અનિલ અગ્રવાલ તેમની સાદગી અને પરોપકારી સ્વભાવ માટે જાણીતા છે. તેમણે ‘Giving Pledge’ હેઠળ પોતાની 75 ટકા સંપત્તિ સમાજ સેવા માટે દાન કરવાનું વચન આપ્યું છે. અનિલ અગ્રવાલે અગાઉ જ જાહેરાત કરી દીધી છે કે તેઓ પોતાની કમાણીનો મોટો હિસ્સો સામાજિક કાર્યોમાં વાપરશે. પુત્રના અવસાન બાદ તેમણે ભાવુક થઈને કહ્યું કે હવે તેઓ વધુ સાદગીથી જીવન વિતાવશે અને અગ્નિવેશના સપના પૂરા કરવા માટે સમાજ સેવાના કાર્યોને વધુ વેગ આપશે.

હવે કોણ સંભાળશે સપનાનો વારસો?
અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે અવસાન પરિવાર માટે સૌથી મોટો ફટકો છે. હવે જ્યારે તેઓ આ દુનિયામાં નથી, ત્યારે અનિલ અગ્રવાલનું પૂરું ધ્યાન તેમની પુત્રી પ્રિયા અગ્રવાલ સાથે મળીને કામ કરી શકે છે. આગામી સમયમાં તે ગ્રુપની મોટી જવાબદારી સંભાળતી જોવા મળી શકે છે. અનિલ અગ્રવાલે જણાવ્યું કે અગ્નિવેશનું સપનું હતું કે દેશમાં કોઈ પણ બાળક ભૂખ્યું ન ઊંઘે અને દરેક યુવાનને રોજગારી મળે, આ જ સંકલ્પ સાથે હવે અગ્રવાલ પરિવાર આગળ વધવા જઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!