મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને જયંત પાટીલને ફટકો, બે નેતા ભાજપમાં જોડાશે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ઉથલપાથલ થવાની શક્યતા છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ની સાથે શેતકારી કામગાર પાર્ટી (પીડબલ્યુપી)ને જોરદાર ફટકો લાગશે. આ બંને પાર્ટીના નેતા ભાજપમાં પ્રવેશશે. કોલ્હાપુર જિલ્લાના કાગલના શિવસેના (યુબીટી)ના પૂર્વ વિધાનસભ્ય સંજયબાબા ઘાટગે આજે ભાજપમાં સામેલ થશે. મુંબઈમાં ભાજપના પ્રદેશપ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં પ્રવેશશે.
સંજયબાબા ઘાટગે વિધાનસભાની ચૂંટણી પછી ભાજપના સંપર્કમાં હતા અને હવે સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશવાના અહેવાલને લઈને રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ભાજપમાં સામેલ થયા પછી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં એક મોટી રેલી યોજવાની સાથે શક્તિ પ્રદર્શન કરવાની પણ યોજના છે એને કારણે ભાજપના ક્ષેત્રિય પ્રદર્શનને પણ મોટું પ્રોત્સાહન મળશે.
ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને જ નહીં, પરંતુ શેતકારી કામગાર પાર્ટીને પણ મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના નેતા અને પૂર્વ વિધાનસભ્ય પંડિત પાટીલ પણ આજે ભાજપમાં જોડાવવાના છે. પંડિત પાટીલ શેકાપના પ્રમુખ અને મહા વિકાસ આઘાડીની સહયોગી પાર્ટીના નેતા જયંત પાટીલના ભાઈ છે. આ પાટીલ પરિવાર અને બંને પાર્ટી માટે સૌથી મોટો રાજકીય ફટકો છે.
બંને નેતા ભાજપમાં સામેલ થવાથી એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્ર 2024-25ની રાજનીતિ માટે વધુ મજબૂત કરવા માગે છે અને વિપક્ષના ગઢમાં ગાબડા પાડવાની નીતિ પણ કામ કરી રહી છે. મહારાષ્ટ્રમાં પહેલાથી રાજકારણમાં મોટી હિલચાલ ચાલી રહી છે, જેમાં સોમવારે ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના)ના પ્રવક્તા સંજના ધાડી એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાયા હતા, ત્યાર બાદ આ નવા ડેવલપમેન્ટને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હિલચાલ છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકારને ઉથલાવીને એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કરીને નવી સરકાર બનાવી હતી, ત્યારબાદ આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવીને મહાયુતિની સરકાર બનાવી છે. ભાજપની આગેવાનીમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે અજિત પવાર અને એકનાથ શિંદેની જાહેરાત કરી હતી. આમ છતાં મહાયુતિમાં આંતરિક વિગ્રહ વચ્ચે યુબીટીના કેમ્પમાંથી એક પછી એક નેતા પાર્ટી છોડતા સંગઠન માટે મોટો ફટકો છે.