હરદ્વારમાં ગુજરાતી પરિવાર પર આભ તૂટી પડ્યુંઃ દીકરો-દીકરી ગંગાસ્નાન કરવા જતા ડૂબ્યાં
હરદ્વારઃ ઉત્તરાખંડના હરદ્વારમાં ગઈકાલે આઘાતજનક કિસ્સો બન્યો. ગુજરાતથી આવેલા એક પરિવારે ગંગા નદીમાં સ્નાન કરવા જતી વખતે બે સંતાન ગુમાવવાની નોબત આવી હતી. ગુજરાતથી હરિદ્વારમાં દર્શાનાર્થે આવેલા પરિવારમાં એક દીકરી અને દીકરા નદીમાં વહી જતા બેનાં મોત થયા છે.
બુધવારે સવારે બની દુર્ઘટના
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું કે આ બનાવ ગઈકાલે સવારના દસ વાગ્યાના સુમારે ઉત્તરી હરદ્વારના સપ્તઋષિ વિસ્તારના પરમાર્થ ઘાટ નજીકના સંતમત ઘાટ પર બન્યો હતો. આ અકસ્માત પછી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું, જ્યારે આસપાસના શ્રદ્ધાળુઓ પણ ગમગીન બની ગયા હતા.
પરિવાર તાપી જિલ્લાનો રહેવાસી
ગુજરાતના તાપી જિલ્લાના બાજીપુરા ગામના રહેવાસી વિપુલભાઈ પવાર તરીકે પરિવારની ઓળખ કરવામાં આવી છે. પરિવાર જ્યારે નદીમાં સ્નાન કરવા ગયો ત્યારે દીકરો અને દીકરી નદીમાં તણાયા હતા. પરિવાર દ્વારા બંને તણાયાની જાણ થયા પછી બચાવવા માટે લોકોની અપીલ કરી હતી. સ્થાનિક લોકોએ પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે બંને બાળકને શોધી શકાયા નહોતા.
છ વર્ષનો દીકરો, 13 વર્ષની દીકરીનું મોત
આ બનાવની પોલીસ અને ગોતાખોરની મદદથી છેક 13 નંબરના પિલર નજીકથી બેશુદ્ધ હાલતમાં શોધી કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ બંનેને હરિદ્વારની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યાં હતા. બંનેની ઓળખ પ્રત્યુશા (13) અને દર્શ (6 વર્ષ) તરીકે કરવામાં આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો કેસ નોંધ્યો હતો. આ બનાવની જાણ થયા પછી ઘટનાસ્થળેના લોકો ગમગીન બન્યા હતા તેમ જ નદીમાં ન્હાવા જનારા શ્રદ્ધાળુઓને પણ ચેતવવામાં આવ્યા હતા.
