29 જુલાઈથી લાદવામાં આવેલો 10 ટકા પાણીકાપ રદ કરવાની પાલિકાની જાહેરાત
મુંબઈ: છેલ્લાં બે ત્રણ દિવસથી મુંબઈ અને રાજ્યમાં પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડનારા સાતેય જળાશયોમાંથી ચાર જળાશયો છલકાઈ જતાં મુંબઈગરા પર તોળાઈ રહેલું જળસંકટ ટળી ગયું છે. 29મી જુલાઈથી મુંબઈગરા પર લાદવામાં આવેલો 10 ટકાનો પાણીકાપ રદ કરવાનો નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.
પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈને પાણીપુરવઠો કરનાર સાતેય તળાવમાંથી વિહાર અને મોડક સાગર બંને છલકાઈ ગયા છે. વિહાર લેક ગુરૂવારે વહેલી સવારે 3.50 કલાકે તો મોડક સાગર ગુરૂવારે સવારે 10.40 કલાકે છલકાયું હતું. આ પહેલાં ગયા અઠવાડિયે 20મી જુલાઈના તુલસી લેક અને 24મી જુલાઈના દિવસે તાનસા પણ છલકાયું હતું.
આ વર્ષે ચોમાસામાં મુંબઈ મહાનરપાલિકાના ક્ષેત્રમાં પાણીપુરવઠો કરનારા સાત તળાવમાંથી ચાર તળાવ જુલાઈમાં જ છલકાઈ ગયા છે. છેલ્લાં કેટલાય દિવસથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં તેમ જ જળાશયોવાળા વિસ્તારમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીના સ્તરમાં ઝડપથી વધારો જોવા મળ્યો હતો.
પાલિકાના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સતત પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં વધી રહેલી પાણીની સપાટીને કારણે મુંબઈગરા પર લાદવામાં આવેલા 10 ટકાનો પાણીકાપ 29મી જુલાઈથી રદ કરવામાં આવશે.