June 30, 2025
ટોપ ન્યુઝહોમ

બે ઐતિહાસિક ચુકાદાએ ગુજરાત અને દેશમાં નવો અધ્યાય લખાયો હતો, જાણો આજના દિવસનું મહત્ત્વ

Spread the love


અને દેશની સર્વોચ્ચ પાર્ટી માટે આજનો દિવસ અમંગળ સાબિત થયો હતો…


પાંચ દાયકા પહેલા બારમી જૂન, 1975નો દિવસ ભારતના ઈતિહાસ અને ગુજરાતના રાજકારણ માટે ચોંકાવનારો સાબિત થયો હતો અને વિરોધી પાર્ટીઓના શબ્દોમાં શરમજનક દિવસોની શરુઆતનું કારણ. આજના દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને અલાહાબાદ હાઈ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો, જેનાથી દેશ અને ગુજરાતના રાજકારણનું ભવિષ્ય અને ભૂગોળ બદલી નાખ્યા હતા. પાંચ દાયકા પહેલા શાસક પક્ષમાં કોંગ્રેસની સરકાર હતી, પરંતુ એ જમાનામાં અલાહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ જગમોહન લાલ સિંહાએ એ વખતનાં વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભાની સીટનું ચૂંટણીનું ચિહ્ન રદ્દ કર્યું હતું. એટલું જ નહીં, ચૂંટણી લડવા માટે તેમને અયોગ્ય ઠેરાવ્યા હતા. આ ચુકાદાને સમાંતર ગુજરાતની જનતાએ જવાબ આપ્યો હતો વિધાનસભાની ચૂંટણીમાં. એટલે દેશની સૌથી મોટી પાર્ટી માટે આજના ઐતિહાસિક દિવસે અમંગળ યોગની શરુઆત થઈ હતી

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પત્તું કપાયું હતું
12મી જૂન, 1975ના દિવસે ઈન્દિરા ગાંધી જે ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા હતા એ ગુજરાતના હતા. સાંજના બદલે સવારના અગિયાર વાગ્યાથી ચૂંટણીના પરિણામો મળી રહ્યા હતા અને છેલ્લે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પણ કોંગ્રેસના હાથમાંથી ગયું હતું. જનતા મોરચા નામે સંગઠનમાં ખૂદની કોંગ્રેસ પાર્ટીના નેતા, ભારતીય જનસંઘ, સોશિયાલિસ્ટ પાર્ટી, લોકદલ, રિપબ્લિકન પાર્ટી સામેલ હતી અને 182 વિધાનસભ્યની વિધાનસભામાં જનતા મોરચાએ 88 અને કોંગ્રેસને 75 સીટ મળી હતી, જ્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસના 140 સભ્ય હતા. કોંગ્રસથી અલગ થઈને પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલે મજદૂર કિસાન લોકપક્ષને 12 બેઠક મળી હતી અને ચીમન પટેલની પાર્ટીએ જનતા પાર્ટીને સમર્થન આપ્યું. મોરારજી દેસાઈથી પ્રેરિત જનતા મોરચા ગઠબંધને સરકાર બનાવી હતી, પરંતુ એ પણ લાંબા સમય સુધી ટકી શકી નહોતી એના માટે પણ ઈન્દિરા ગાંધી જવાબદાર હતા.

12 જૂન 1975 કોંગ્રેસ માટે સાબિત થયો અમંગળ
કોંગ્રેસ પાર્ટીના દાયકાઓ જૂના શાસનનો ભારતમાં અંત આવ્યો હતો અને કેન્દ્રમાં મોરારજી દેસાઈની સરકાર બની હતી એ પણ બિનકોંગ્રેસી. તમામ રાજ્યોમાં પણ સત્તામાં પરિવર્તન આવ્યું હતું એના પછી કેન્દ્ર અને રાજ્યોની સરકારમાં તબક્કાવાર પરિવર્તન આવ્યુ હતું, તેથી આજની તારીખે પણ કોંગ્રેસ પાર્ટી માટે આજનો દિવસ અમંગળ ગણાય છે. આજના દિવસના ચુકાદાએ કોંગ્રેસના કાર્યકરો જ નહીં, પરંતુ લોખંડી મનોબળ ધરાવનારા ઈન્દિરા ગાંધીને હચમચાવી નાખ્યા હતા.

એ દિવસે નજીકના સલાહકારના નિધનના મળ્યા સમાચાર
ઈન્દિરા ગાંધી વિશે પુસ્તક લખનારા પુપુલ જયકરે લખ્યું છે કે બારમી જૂનના સવારે ડાઈનિંગ ટેબલ પર સૌથી પહેલા એક આંચકો મળ્યો હતો. ઈન્દિરા ગાંધીના અંગત સચિવ આરકે ધવને કહ્યું હતું કે તેમના નજીકના સલાહકાર અને સોવિયત સંઘ રશિયામાં ભારતના રાજદૂત દુર્ગા પ્રસાદ (જેઓ ડીપી ધર તરીકે ઓળખાતા)નું નિધન થયું હતું. કહેવાય છે કે ધવન મહત્ત્વની ચર્ચા કરવા માટે ઈન્દિરા ગાંધીના કહેવાથી મોસ્કોથી દિલ્હી આવ્યા હતા અને એના પછી નિધનના સમાચારથી વ્યથિત થયા હતા. એના પછી બીજા બે સમાચારની રાહ જોઈ રહ્યા હતા, જેમાં એક હતો અલાહાબાદ હાઈ કોર્ટનો ચુકાદો અને બીજો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો.

તાર શેષનના હાથમાં હતો લખ્યું હતું ઈન્દિરા ગાંધી અપદસ્થ
એ જ દિવસ અંગે જાણીતા લેખક કુલદીપ નાયરે પણ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે બારમી જૂનના સવારે 10 વાગ્યે વડા પ્રધાનના કાર્યાલયમાં યુએનઆઈ (યુનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા)ના ટેલિપ્રિન્ટર પર ફ્લેશ ન્યૂઝનો બેલ વાગ્યો અને ત્યાં જઈને તેમના અંગત સચિવ એનકે શેષને જોયું તો લખ્યું હતું કે ઈન્દિરા અપદસ્થ. તેમની ચૂંટણી રદ્દ એ વખતે શેષને તાર ફાડ્યો અને ઈન્દિરા ગાંધી પાસે ગયા હતા ત્યાં ઈન્દિરા ગાંધી બેઠા હતા. રુમની બહાર પાયલોટ પુત્ર રાજીવ ગાંધી મળ્યા અને રાજીવના હાથમાં તાર આપ્યો અને એના પછીનો બીજો તાર હતો કે છ વર્ષ સુધી ઈન્દિરા ચૂંટણી લડી શકશે નહીં.

બે રસ્તા બંધ થયા પછી ઈન્દિરા ગાંધી પાસે હતો ત્રીજો વિકલ્પ
આ ચુકાદાને કારણે રુમમાં માહોલ ગમગીન થઈ ગયો હતો. ઈન્દિરા ગાંધી ગંભીર બની ગયા હતા. થોડી વારમાં કોંગ્રેસના નેતાઓ, મંત્રીઓ, મુખ્ય મંત્રીઓનો જમાવડો શરુ થઈ ગયો હતો. થોડા સમય પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ વિરોધી આવી રહ્યા હતા, જે કોંગ્રેસની દિશા અને દશા બદલનારા હતા. આ બંને ચુકાદાએ ઈન્દિરા ગાંધી અને તેમની સત્તા ગુમાવવા માટે બેવડો ફટકો માર્યો હતો. અલાહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ જગમોહન લાલ સિંહાએ ઈન્દિરા ગાંધીની લોકસભાનું સભ્ય રદ્દ કરવાની સાથે આગામી છ વર્ષ સુધી ચૂંટણી લડવાની પણ રોક લગાવી હતી. આ સંજોગોમાં રાજ્યસભામાં જવાનો રસ્તો પણ બંધ થયો હતો. આ ચુકાદાની સામે વડા પ્રધાનપદ છોડવા યા ચુકાદાને સુપ્રીમમાં પડકારવો કે પછી છેલ્લો વિકલ્પ હતો, જે કોઈએ કલ્પ્યો નહોતો, જે શસ્ત્ર ઉગામ્યું હતું.

રાયબરેલી અને અમેઠીની બેઠક પરથી હાર્યાં હતાં
અલાહાબાદ હાઈ કોર્ટે આપેલા ચુકાદા પછી ઈન્દિરા ગાંધીએ પોતાની સત્તાને સલામત રાખવા માટે 25મી જૂનના મધરાતે દેશમાં કટોકટીની જાહેરાત કરી હતી. 21 મહિના પછી કટોકટીને હટાવવામાં આવી હતી અને માર્ચ 1977ની લોકસભાની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીની પાર્ટીને સત્તામાંથી હાથ ધોવાની નોબત આવી હતી. ખુદ રાયબરેલીથી નાના દીકરા સંજય ગાંધી અમેઠી ચૂંટણીમાંથી હાર્યા હતા. ઈમરજન્સીની વાત વધુ વિગતે આગામી સપ્તાહે કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!