શ્રાવણ વિશેષઃ શ્રાવણ મહિનામાં વિશેષ પુણ્ય આપનારું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ
ભારતના 12 જ્યોતિર્લિંગમાં સૌથી વિશેષ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. શ્રાવણ મહિનામાં પણ જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવજીના ભક્તો માટે તેનું વિશેષ મહત્વ છે અને નિયમિત રીતે ઉપાસના કરવાથી બાબાના આશીર્વાદ મળે છે. શ્રાવણ મહિનામાં અમુક લોકો તો બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ઉપડી જતા હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના લિંગ સ્વરુપની પૂજા સૌથી વધારે થાય છે અને આ સ્વરુપમાં ભગવાન જ્યોતિના રુપે રહેલા છે, તેથી આ જ્યોતિલિંગ કહે છે. કહેવાય છે કે સવારે આ 12 જ્યોતિર્લિંગના નામનું સ્મરણ કરવાથી સાત જન્મોના પણ પાપ ધોવાઈ જાય છે. ચાલો જાણીએ મહારાષ્ટ્રના ત્ર્યમ્બકેશ્વર જ્યોતિર્લિંગના ઉત્પત્તિ અને તેના રસપ્રદ તથ્યોનું મહત્ત્વ સમજીએ.

નાશિકથી 30 કિલોમીટર દૂર ત્ર્યમ્બક ગામ આવેલું છે, જ્યારે મંદિરનું નામ ત્રંબકેશ્વર પાડવામાં આવ્યું છે, કારણ કે ત્રણ પહાડ બ્રહ્મગિરિ, નીલગિરિ અને કાલગિરિથી ઘેરાયેલું છે એની સાથે ગોદાવરી નદી શરુ થાય છે. શિવ પુરાણના શ્રીકોટિરુદ્ધ સંહિતાના 42મા અધ્યાય અનુસાર ત્ર્યમ્બક ભગવાન શિવનો આઠમો અવતાર છે. ભગવાન શિવના ત્ર્યમ્બક રુપે ઉત્પત્તિ ગોતમી નદીના કિનારે ઋષિ ગૌતમની પ્રાર્થના અને કામનાથી થયું હતું.
પ્રાચીન કથા અનુસાર ગૌતમ ઋષિ નામના તપસ્વી હતા અને તેમની પત્ની અહિલ્યા સાથે જંગલમાં રહેતા હતા અને તપસ્યા કરતા હતા ગૌતમ ઋષિ જ્યાં રહેતા હતા, ત્યાં લાંબા સમયથી વરસાદ થયો નહોતો. દુકાળ પડ્યો હતો, ત્યારે ગૌતમ ઋષિએ ભગવાન વરુણની પ્રાર્થનાથી પાણીની અછત દૂર કરવા પ્રાર્થના કરી હતી અને વરુણ દેવ પ્રસન્ન થયા અને ગૌતમ ઋષિને ખાડો ખોડવા જણાવ્યું હતું. ગૌતમ ઋષિએ ખાડો ખોડ્યો અને પાણી નીકળ્યું હતું. અને એ ગોદાવરી નદીની શરુઆત થઈ પણ ગૌતમ ઋષિની આ સિદ્ધિ આસપાસના ગામના સાધુસંતોને ગમી નહોતી.
તેમના વિરોધીઓએ ગૌતમ ઋષિ સાથે ષડયંત્ર રચ્યું અને ષડયંત્રના ભાગરુપે આશ્રમમાં એક ગાય લઈ ગયા અને એ પણ ખેતરોમાં ઘૂસી ગઈ. એ જ વખતે ગૌતમ ઋષિએ ગાયને હટાવવા ગયા અને ગાયનું મોત થાય છે અને એ વાત ગામમાં ફેલાઈ ગઈ અને પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ગામના લોકોએ કહ્યું દેવી ગંગાને લાવવા પડશે અને ઋષિ માની ગયા. તેમણે ભગવાન શિવની પૂજા કરી અને પાપમાંથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરી. ગૌતમ ઋષિએ પર્વત પર તપ કર્યું અને શિવજી પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું હતું કે ગૌતમ ઋષિએ ભગવાન પાસે ગંગાજીને મોકલવા જણાવ્યું.
ગંગાજી પ્રગટ તો થયા પણ તેમણે શિવજી પાસે માગ્યું કે જો તેઓ જ્યોતિ રુપે અહીં રહે તો રહેશે. ગંગાજીની વાત સાંભળીને શિવભગવાને ત્ર્યમ્બકેશ્વર જ્યોતિર્લિંગના રુપમાં બહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે લિંગ રુપમાં રહેવાનો નિર્ણય કર્યો. એના પછી ગંગા નદી ગોમતી (ગોદાવરી રુપ) વહેવા લાગી અને એ રીતે ત્ર્યમ્બકેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પતિ થઈ હતી. આ જ્યોતિર્લિંગની વિશેષતા કહીએ તો જ્યોતિર્લિંગના ત્રણ મુખ છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક માનવામાં આવે છે. આજે પણ લોકો પાપથી મુક્ત થવા અને શાંતિ માટે દર્શન કરવા જાય છે.
અમદાવાદથી મુંબઈ જવા માટે તમે સાતથી આઠ કલાકની મુસાફરી થાય છે, જ્યારે મુંબઈથી નાશિક માટે બેથી અઢી કલાકનો સમય લાગે છે. નાશિક સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી ત્ર્યમ્બકેશ્વર જ્યોતિર્લિંગ માટે બસ જાય છે, જ્યારે નાશિકથી ત્ર્યમ્બકેશ્વર જ્યોતિર્લિંગ લગભગ 28 કિલોમીટર દૂર આવેલું છે. મુંબઈથી 180 કિલોમીટર દૂર આવેલુ છે, જ્યારે નજીકનું એરપોર્ટ આઝાર એરપોર્ટ છે, જે 56 કિલોમીટર આવેલું છે.
