મુંબઈના બાંદ્રા ટર્મિનસ પર પ્રવાસીઓની નાસભાગ, નવ ઘાયલ
મુંબઈઃ દિવાળી વેકેશનને લઈ મુંબઈથી બહારગામ જનારા લોકોના ધસારાને કારણે આજે પરોઢિયે પ્રવાસીઓમાં દોડધામને કારણે અનેક પ્રવાસીઓને ઈજા પહોંચી હોવાનું સમાચાર છે. પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસ ખાતે ઉત્તર-બિહાર જનારા લોકો ધસારાને કારણે ટ્રેન આવ્યા પછી નાસભાગ થવાને કારણે નવ લોકો ઘાયલ થયા છે.
ધક્કામુક્કી બાદ નાસભાગ થઈ
રવિવારે સવારે બાંદ્રા ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ નંબર એક પર નાસભાગ થઈ હતી, જેમાં ઘાયલ લોકોને તાત્કાલિક ભાભા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં નવેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તમામની હાલત સ્થિર હોવાનું પ્રશાસને જણાવ્યું હતું. રવિવારે પરોઢિયે બાંદ્રા ટર્મિનસ ખાતે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન (નંબરર 22921) પ્લેટફોર્મ નંબર એક પર આવી ત્યારે પ્રવાસીઓએ ટ્રેનમાં ચઢવા માટે ધક્કામુક્કી કરી હતી, જેમાં નાસભાગ થઈ હતી. આ બનાવમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી, તેથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં અમુક લોકોને સામાન્ય ઈજા પહોંચ્યા પછી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા બે જણની હાલત ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
ઈજાગસ્તને દાખલ કરાયા ભાભા હોસ્પિટલમાં
ઈજાગ્રસ્ત લોકોની ઓળખ કરવામાં આવી છે. શબ્બીર અબ્દુલ રહમાન (40), પરમેશ્વર સુખદાર ગુપ્તા (28), રવિન્દ્ર ચુમા (30), રામસેવક રવિન્દ્ર પ્રસાદ (29), સંજય તિલકરામ કાંગાય (27), દિવ્યાંશુ યાદવ (18), મોહમ્મદ શેખ (25) તરીકે ઓળખ કરવામાં આવી છે, જ્યારે ઈન્દ્રજીત સાહની (19) અને નૂર મોહમ્મદ શેખ (18)ની હાલત ગંભીર છે, એમ ભાભા હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેએ બે જણ ઘાયલ થયા હોવાનો કર્યો દાવો
આ મુદ્દે પાલિકાએ જણાવ્યું કે દિવાળીના તહેવારને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ હોવાને કારણે નાસભાગ થઈ હોઈ શકે. આ બનાવનો વીડિયો વાઈરલ થયા પછી અમુક પ્રવાસીઓ સ્ટેશનના પરિસરમાં ઘાયલ અવસ્થામાં બેઠેલા જોવા મળ્યા હતા, જ્યારે રેલવે પોલીસના જવાન ઘાયલ પ્રવાસીઓને સ્ટ્રેચરમાં લઈ જતા જોવા મળ્યા હતા. બીજા એક વીડિયોમાં ઈજાગ્રસ્ત લોકો પ્લેટફોર્મ પર લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. આ બનાવ અંગે રેલવેએ કહ્યું કે રાતના અઢી વાગ્યાના સુમારે અત્યોદય ટ્રેન આવી ત્યારે ટ્રેન પકડવાના ચક્કકમાં દોડધામ થવાથી બે લોકોને ઈજા પહોંચી હતી.
