June 30, 2025
લાઈફ સ્ટાઈલ

કામના સમયે ટૂંકી ઊંઘ લેવી કે નહીં, શું માનો છો?

Spread the love

નેવુંના દાયકામાં ટીવીમાં એક એડ બહુ જાણીતી બની હતી અને એનો એક ડાયલોગ જોરદાર લોકપ્રિય બન્યો હતો. યે બિચારા કામ કે બોજ મારા જા રહા હૈ, બ્લા બ્લા. પણ વાત કામ કરવા સાથે રેસ્ટની છે. ઘરમાં ગૃહિણી હોય કે પછી ઓફિસ અવર્સ કર્મચારી પણ માણસ થાકે તો ખરો એ હકીકત છે. ક્યારેક વધુ પડતું કામ થઈ જાય તો શરીર થાકીને પણ હથિયાર નીચે મૂકી દે. બીજી રીતે જોઈએ તો જો તમને પણ કામ કરતા કંટાળો આવે તો બ્રેક લેવો જોઈએ. બ્રેક લેવા માટે એક કદમ આગળ વધીને પણ તમે 15-20 મિનિટની પણ ઊંઘ લેવી જોઈએ. આ મુદ્દે તો જાણીતી એક ફર્મે રસપ્રદ સંશોધન કર્યું જેમાં મોટા ભાગના લોકોએ ઊંઘ લેવા માટે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.
એ પહેલા આ મુદ્દે બે જાણીતા ઉદ્યોગપતિના મત પણ જાણી લઈએ. ગયા વર્ષે પણ જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ યુવાનોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાનું નિવેદન આપીને એ મુદ્દો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારપછી બિલ ગેટ્સે પણ નિવેદન આપ્યું હતું કે એઆઈ (આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ)ના જમાનામાં અઠવાડિયામાં ત્રણ દિવસ કામ કરવાનું પૂરતું છે. આ તો બંનેએ કરેલા અલગ અલગ સ્ટેટમેન્ટની વાત છે, પરંતુ વાસ્તવમાં કેટલા કલાક કામ કરવું અને એના પછી કેટલો રેસ્ટ કરવો એ તમારા કામ સાથે તમારા આરોગ્ય પર નિર્ભર છે.
મૂળ બાબત તો કામના સમયે પણ ઊંઘ લેવી કે નહીં એના અંગે મોટા ભાગના લોકોએ કહ્યું હતું કે ઓફિસમાં કામના સમય દરમિયાન થોડા સમય માટે જો તમે એકાદ ઊંઘ લઈ લો તો થાક તો દૂર થાય છે પણ બીજા કલાકો સુધી કામ કરવામાં પણ તમને મદદ મળે છે. બીજું તમારી કાર્યક્ષમતામાં વધારો થાય છે અને આરોગ્યની દૃષ્ટિએ પણ સારું રહે છે.
ભારતની વાત તો ખબર નથી, પરંતુ વિકસિત દેશોમાં તો વીકમાં પાંચ દિવસ કામ કરવાનો કન્સેપ્ટ છે, જ્યારે જાપાન જેવા દેશમાં પણ ઈનેમુરી ટ્રેડિશન લાંબા સમયથી પ્રચલિત છે, જેમાં વર્કિંગ ટાઈમમાં ઝપકી લઈ લેવાની. જાપાનમાં કામના સમયે તમે જો સૂઈ જાઓ તો બેડ મેનર્સ નથી. આગળ કહ્યું તેમ કંપનીએ તેના સર્વેમાં કહ્યું હતુ કે 94 ટકા કર્મચારીનું માનવું હતું કે કામના સમયે ઝપકી લેવાનું જરુરી છે, જ્યારે ત્રણ ટકા તો આ બાબતથી સહમત થયા નહોતા.
આ મુદ્દે રિપોર્ટમાં પણ કહ્યું હતું કે કર્મચારીઓ જો કલાકો સુધી કામ કરે તો આરામ કરવાનું જરુરી બને છે. જો આરામ કરવામાં આવે તો કર્મચારી તણાવમુક્ત બની શકે છે. સર્વેમાં એક નહીં અનેક ક્ષેત્રના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમ કે આઈટી, એન્જિનિયરિંગ, મીડિયાથી લઈને લોજિસ્ટિક્સ વગેરેને સમાવી લેવામાં આવ્યા હતા. વાત લાખ ટકાની છે કે જો તમારી ક્વોલિટી વર્ક જોઈતું હશે તો તમારે તમારા કર્મચારી પાસે જેટલા કલાક કામ લેશો એટલા જ તમારે તેમની હેલ્થ અને મેન્ટલ બેલેન્સ સારી રીતે જાળવી રાખો તો ફર્મ હોય કે અન્ય સેક્ટર ફાયદો ચોક્કસ થશે. બાકી ધકેલ પંચા દોઢસોના તાલે કામ ચાલુ રાખશો તો પ્રગતિને બ્રેક ચોક્કસ લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!