પહલગામમાં આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીનાં મોત
અમરેલીના શૈલેષભાઈનો બર્થડે સેલિબ્રેશન છેલ્લો બની ગયો, ભાવનગરના પિતા-પુત્રનું મોત
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પરના આતંકવાદી હુમલાને લઈ દેશ આખામાં પ્રત્યાઘાતો પડ્યા છે, જ્યારે દરેક નાગરિકોએ આતંકવાદીઓને જવાબ આપવાની માગણી કરી છે. આતંકવાદીઓએ પહેલી વાર ધર્મને ધ્યાનમાં રાખીને પર્યટકોની હત્યાને મુસ્લિમો નેતાઓની સાથે વિદેશમાં પણ વખોડવામાં આવ્યા છે. આ હુમલામાં માર્યા જનારા નાગરિકમાં 26 ભારતીય સહિત બે વિદેશીનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાતના ત્રણ નાગરિક પણ છે.
પરિવાર સુરતમાં નોકરીને કારણે શૈલેષભાઈ મુંબઈ રહેતા હતા
મૂળ ગુજરાતના અમેરલીના રહેવાસી શૈલેષ કલાઠિયા આતંકવાદીઓના હુમલાનો શિકાર બન્યા હતા. તેઓ મુંબઈથી પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવવા કાશ્મીર પહોંચ્યા હતા, પરંતુ તેમનો જન્મદિવસનું સેલિબ્રેશન અંતિમ બન્યું છે. શૈલેશ કલાઠિયા મૂળ અમરેલીના રહેવાસી હતા, જ્યારે પરિવાર સુરતમાં રહેતો હતો પણ બેંકની નોકરીને કારણે છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા હતા. 44 વર્ષના શૈલેષ પોતાની પત્ની શીતલ, દીકરી નીતિ અને દીકરા નક્ષત્રની સાથે મુંબઈ ફરવા ગયા હતા, પરંતુ મંગળવારે પહલગામમાં હરતાફરતા પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. પહલગામમાં ઘોડેસવારીનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં શૈલેષને ગોળી વાગી હતી, જેમાં તેમનું મોત થયું હતું. જોકે, આ હુમલામાં પત્ની અને બાળકો સુરક્ષિત છે.
કથામાં ભાગ લેવા ગયાને શિકાર બન્યા પિતાપુત્ર
શૈલેષ કલાઠિયા સિવાય ગુજરાતના અન્ય પીડિત પર્યટકમાં ભાવનગરના યતીશભાઈ પરમાર, પત્ની કાજલબેન અને પુત્ર સ્મિત કાશ્મીર ગયા હતા. મંગળવારના સાંજે તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. કાજલબેન સુરક્ષિત મળ્યા હતા, પરંતુ યતીશભાઈ અને પુત્ર સ્મિતનું મોત થયું હતું. 45 વર્ષના યતીશભાઈ એક હેર સલૂન ચલાવતા હતા તથા દીકરો સ્મિત અગિયારમા ધોરણમાં ભણતો હતો. પરિવારના લોકોએ કહ્યું કે મોરારી બાપુની કથામાં ભાગ લેવા માટે શ્રીનગર ગયા હતા, ત્યાંથી ફરવા માટે ગયા હતા. ગઈકાલે સાંજે જાણકારી મળી હતી કે પિતા-પુત્ર ઘાયલ થયા હતા, પરંતુ સવારે મોત થયું હોવાની માહિતી મળી હતી. ગુજરાત સરકારે તેમના મૃતદેહ સહિત પરિવારની સુરક્ષિત લાવવા માટે ખાતરી આપી હતી.
નકલી વરદી પહેરી આવ્યા, તેથી શક ના પડ્યો
પહલગામ હુમલા વખતે આતંકવાદીઓએ નકલી વરદી પહેરી હતી, તેથી શરુઆતમાં પર્યટકોને કોઈ શક થયો નહોતો, પરંતુ પૂછપરછ કર્યા પછી ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળે લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. આતંકવાદીઓએ જાણી જોઈને હિંદુ પુરુષો પર ફાયરિંગ કર્યું હતું, જે પોતાની પત્ની સાથે આવ્યા હતા. વીડિયોમાં મહિલાઓ પતિ પર થયેલા આતંકવાદી હુમલાને કારણે ચીસો પાડતા મદદ કરવાની અપીલ કરી હતી.