બ્રેઈનને તંદુરસ્ત રાખવા માટે જરુરી છે આ ત્રણ બાબત, ફુરસુદ હોય તો વાંચી લો
ભાગદોડભરી જિંદગીમાં વ્યક્તિ સૌથી વધુ સ્ટ્રેસ અનુભવે છે અને સ્ટ્રેસને કારણે એક કરતા અનેક બીમારી ઘર કરી જાય છે. મગજને કાર્યશીલ રાખવાથી વ્યક્તિને અનેક પ્રકારના ફાયદા પણ થાય છે પણ અવગણના કરવાથી અનેક બીમારીના ભોગ પણ બની શકો છો. વ્યક્તિના શરીરમાં મગજ મહત્ત્વપૂર્ણ અંગ જ નહીં, પરંતુ વ્યક્તિના જીવન જીવવા માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. જો મગજ કામ કરવાનું બંધ થઈ જાય તો વ્યક્તિ એક જીવતી લાશ બની જાય, તેથી તમારા બ્રેઈનને સૌથી સ્વસ્થ રાખવાનું ચૂકશે નહીં.
આજના મોબાઈલ અને કમ્પ્યુટરના યુગમાં વ્યક્તિની જિંદગી એટલી વ્યસ્ત બનતી જઈ રહી છે કે બહારની દુનિયા જોવાનો ટાઈમ જ મળતો નથી. ક્યારેક તો એવું થાય કે ઘરની મહત્ત્વની કામગીરીને અવગણે છે. વેલ, દરેક લોકોની લાઈફસ્ટાઈલ મોબાઈલની દુનિયામાં એટલી વ્યસ્ત બનતી જાય છે કે ધીમે ધીમે વ્યક્તિનું મગજ નબળું પડી રહ્યું છે, તેનાથી અનેક આડઅસર પણ શરીર પર અસર કરે છે. એવું તો શું છે વિગતે વાત કરીએ.
વ્યક્તિનું મગજ નબળું પડે તો ફક્ત વિચારવા-સમજવાની જ નહીં, પરંતુ સંપૂર્ણ શરીરને નબળું પાડે છે. આ સંજોગોમાં વ્યક્તિએ ખાસ કરીને ત્રણ પ્રકારની બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવું. એટલે ખાસ કરીને એવા વિટામિન લેવાનું ફાયદાકારક રહે છે, પણ જો એનો અભાવ હોય તો કામકાજ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. બ્રેઈનને શક્તિશાળી બનાવવા કે મજબૂત રીતે કામગીરી કરવા માટે ખાસ કરીને ફોલિક એસિડ, ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન-ઈ અસરકારક છે, એની કમી હોવાને કારણે નબળાઈ, યાદશક્તિ ઘટે અને એટલે સુધી કે કાયમી ધોરણે નુકસાન થઈ શકે.
ફોલિક એસિડ એ વિટામિન બીનો એક પ્રકાર છે, જે નવી કોશિકાના નિર્માણ અને મગજના વિકાસ માટે જરુરી છે. ફોલિક એસિડના અભાવને કારણે ભૂલવાની બીમારી કે ચિડિયાપણું, કામકાજમાં ફોક્સ કરવામાં મુશ્કેલી અને માનસિક રીતે નબળાઈ અનુભવી શકો છો. આ બધી બાબતને કારણે ખાસ તો બ્રેઈન ફોગ, ડિપ્રેશન અને ન્યુરોલોજિકલ સમસ્યાનું જોખમ રહે છે. એ જ રીતે ફેટી એસિડ પણ ન્યૂરોટ્રાન્સમીટરને બેલેન્સ કરવામાં મદદ કરે છે. એના લક્ષણોમાં મૂડ સ્વિંગ્સ, ડિપ્રેશન, શીખવા અને યાદ રાખવાની શક્તિમાં ઘટાડો રહે છે.
ફેટી એસિડના અભાવને કારણે અલ્જાઈમર, ડિમેન્શિયા વગેરે બીમારીનું જોખમ રહે છે. છેલ્લે વિટામિન ઈના અભાવને કારણે યાદશક્તિને નબળી બનાવવાની સાથે ચાલવામાં અસંતુલન, આખોની રોશનીમાં ઘટાડો તેમ હાથપગમાં નબળાઈ વગેરેના લક્ષણો છે. વિટામીન ઈના અભાવથી ન્યુરોલોજિકલ બીમારી પણ ઊભી થઈ શકે છે, તેથી આ બધી બાબતનું ખાસ ધ્યાન રાખવું જરુરી રહે છે.