રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ પહોચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ
ગુજરાતમાં ઓગસ્ટ 2022થી જુલાઈ 2023 સુધીમાં જરુરિયાતમંદોને 21 લાખથી વધુ લોકોને અનાજ મળ્યું
ગાંધીનગરઃ રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ આપવાની નેમ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરી છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં રાજ્યના રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ પહોચાડવાનો ઉમદા કાર્ય નિરંતર કરવામાં આવી રહ્યું છે.
21.62 લાખ મેટ્રિક ટન અનાજન આપ્યું
રાજ્યમાં વસવાટ કરતા રેશનકાર્ડ ધારકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં અનાજ મળે તેવા શુભાશયથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા- FCI દ્વારા ઓગસ્ટ-૨૦૨૨થી જુલાઇ-૨૦૨૩ સુધીમાં કુલ ૨૧.૬૨ લાખ મેટ્રિક ટન અનાજ આપવામાં આવ્યું છે, જેમાં ૯.૬૧ લાખ મેટ્રિક ટન ઘઉં અને ૧૨.૦૧ લાખ મેટ્રિક ટન ચોખાનો સમાવેશ થાય છે, જે પૈકી કુલ ૨૧.૧૩ લાખ મેટ્રિક ટન અનાજનું રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને સમયસર વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશમાં 2 કરોડ ટન ઘઉં-ચોખા લાભાર્થીઓને નથી પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે Household Consumption Expenditure Survey -HCES અને FCIના ઓગસ્ટ-૨૦૨૨થી જુલાઇ-૨૦૨૩ માસિક ઉપાડના ડેટાનું એનાલીસીસ કરી 2 કરોડ ટન ઘઉં અને ચોખા લાભાર્થીઓ સુધી પહોંચ્યા નથી, જે સમગ્ર ભારતની સ્થિતિ દર્શાવે છે, તેમાં બફર, ટ્રાન્ઝીટ અને ઓપરેટિવ રિઝર્વ સ્ટોક બાદ કર્યા સિવાયના આંકડા છે જે બાબતે કેન્દ્ર સરકાર દ્વારા જે તે સમયે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
8,723 ગામડા અને 6,115 શહેરી બ્લોકનો સમાવેશ
HCES દ્વારા ભારતના ૮,૭૨૩ ગામડાંઓ તથા ૬,૧૧૫ શહેરી બ્લોકના કુલ ૨.૬૧ લાખથી વધુ લાભાર્થી જેમાં ૧.૫૫ લાખથી વધુ ગ્રામીણ વિસ્તારના તેમજ ૧.૦૬ લાખથી વધુ શહેરી વિસ્તારના લાભાર્થીઓનો સરવે કરાયો હતો. આ સરવેમાં NFSAct-2013 હેઠળ આવરી લેવાયેલ લાભાર્થીઓ કે Non- NFSA લાભાર્થીઓ તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
રેશનકાર્ડનું 100 ટકા કેવાયસીની કામગીરી પૂરી
રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવાના ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી વિવિધ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્યમાં રેશનકાર્ડનું ૧૦૦ ટકા e-KYCની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત લાભાર્થી ઘરે બેઠા e-KYC કરી શકે તે માટે “Face Authentication” આધારિત e-KYCની સુવિધા “My Ration” એપ્લિકેશનમાં તેમજ ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયત કચેરીમાં VCE દ્વારા e-gram centre પર e-KYC કરાવવામાં આવે છે. ઉપરાંત e-KYC માટે ૧૦ લાખથી નાગરિકોએ ‘MY RATION’ એપ પણ ડાઉનલોડ કરી છે.
આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અમલી
રાજ્યમાં આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અમલમાં છે. જે અંતર્ગત રેશનકાર્ડની સેવાઓ માટે તમામ સભ્યોના આધારકાર્ડ નંબરનું સીંડીગ ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના ૧૦૦ ટકા રેશનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. રેશનકાર્ડને સંબંધિત વિવિધ રજૂઆત અન્વયે રાજય સરકાર દ્વારા ઓનલાઇન IPDS પોર્ટલ ઉપરાંત ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૩૩૫૫૦૦/૧૯૬૭ અને ૧૪૪૪૫ની વ્યવસ્થા કરવામાં આવી છે.