Waqf Amendment Act: વક્ફ કાયદાને પડકારતી અરજીની આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
નવી દિલ્હીઃ વક્ફ કાયદાને પડકારતી વિવિધ પાર્ટીની અરજીની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લાહ ખાન, રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝા, તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સાંસદ મહુઆ મોઈત્રા સહિત અન્ય અરજીનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં આજે જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની ત્રણ સભ્યની ખંડપીઠ અત્યાર સુધીમાં આ કેસ સંબંધમાં 10 અરજીની સુનાવણી કરવા માટે લિસ્ટ કરી છે.
સુપ્રીમ કોર્ટની અરજી કરનારા અરજદારમાં અસદુદ્દીન ઓવૈસી (એનઆઈએમઆઈએમ)ના પ્રમુખ, આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લાહ ખાન, અરશદ મદની, એસોસિયેશન ફોર ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, સમસ્ત કેરળ જમીયતુલ ઉલેમા, અંજુમ કાદરી, તૈયબ ખાન સલમાની, મોહમ્મદ શફી, મોહમ્મદ ફજલુરર્હીમ, મનોજ ઝા (રાજદના સાંસદ), મહુઆ મોઈત્રા (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી), જગનમોહન રેડ્ડી (વાઈએસઆરસીપી નેતા), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપ), વિજય (તમિલગા વેગી કઝગમ પ્રમુખ), ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી), જમીયત ઉલેમા એ-હિંદ, દ્રવિડ મુનેત્ર કગઝમ (દ્રમુક), ઈમરાન પ્રતાપગઢી (કોંગ્રેસના સાંસદ) અને મોહમ્મદ જાવેદ.
સૌથી પહેલા દસને લિસ્ટેડ કરવામાં આવી છે, જ્યારે બાકીની દસને લિસ્ટ કરવાની બાકી છે. એના સિવાય એડિશનલ સોલિસિટર હરિ શંકર જૈન અને મણિ મુંજાલે પણ એક અલગથી અરજી કરી છે, જેમાં વક્ફ કાયદાની અમુક જોગવાઈઓને બિન-મુસ્લિમના મૌલિક અધિકારોનું ભંગ કરનાર ગણાવ્યું છે. ઉપરાંત, અન્ય અરજીઓ પણ દાખલ કરી છે, જેને લિસ્ટ કરવાની બાકી છે. કેન્દ્ર સરકારે આઠમી એપ્રિલના સુપ્રીમ કોર્ટમાં પણ કેવિયેટ દાખલ કરી છે, જેમાં અરજી કરી છે કે કોઈ પણ આદેશ આપ્યા પહેલા અમારી અરજીની સુનાવણી કરવામાં આવે. કેવિયેટનો ઉદ્દેશ એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યા પૂર્વે સરકારની વાત સાંભળે.