June 30, 2025
ટોપ ન્યુઝધર્મહોમ

Miss You Mahakumbh: 45 દિવસ યોજાયેલા ‘મહાકુંભ’ને દેશની જનતા આજીવન યાદ રાખશે, 10 મહત્ત્વની વાત જાણો??

Spread the love

પ્રયાગરાજઃ મહાકુંભ આ વખતે આંકડાઓની ‘માયાજાળ’માં રહ્યો છે, જે સરકાર માટે સિદ્ધિ તો વિપક્ષ માટે વિવાદનો ‘મધપૂડો’ હતો. વિપક્ષ હોય કે સમાજશાસ્ત્રી કે સમાજકાર્યકર્તા દરેકને માટે સૌથી મોટો કોયડો મહાકુંભ હતો. પોઝિટિવ રીતે કહો કે નેગેટિવ, પણ આ 45 દિવસ લોકો અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય હતો, પણ આગામી પેઢીઓ આ મહાકુંભને યાદ રાખશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. કઈ રીતે એ વાતને વિસ્તૃત રીતે જાણીએ.

1) 45 દિવસમાં 68 કરોડ લોકોએ લગાવી ડૂબકી


મહાકુંભનું આયોજન લગભગ 144 વર્ષ પછી થયું હતું, જે પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલ્યો હતો. શિવરાત્રીના દિવસે સાંજના છ વાગ્યા સુધી 1.44 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું, જ્યારે કૂલ 66.21 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી. 13 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભમાં ચીન અને ભારતની વસ્તી સિવાયના તમામ દેશો કરતા પણ વધુ લોકોએ કુંભમાં સ્નાન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં મક્કા અને વેટિકન સિટી જનારા શ્રદ્ધાળુ કરતા વધુ સંખ્યા છે.

2) 15,000 સફાઈકર્મચારી સતત કરતા રહ્યા સફાઈ


મહાકુંભમાં સ્વચ્છતાને લઈને લાઈમલાઈટમાં રહ્યો હતો, જ્યાં રોજના લાખો-કરોડો લોકો એક જગ્યાથી અવરજવર કરતા હોય ત્યાં કચરાનું કેટલું સામ્રાજ્ય હોય, તો પણ સરકારના દાવા પ્રમાણે રોજના 15,000થી વધુ સફાઈ કર્મચારીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 24 કલાક તહેનાત સફાઈ કર્મચારીઓ કુંભનગરીને ગંદકીથી દૂર રાખવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મેળાના સ્થળથી લઈને અન્ય સ્થળોના શૌચાલય, રસ્તાઓ, નદી-કિનારાના ઘાટ વિસ્તારોને ચકાચક રાખવાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેની ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવાઈ હતી.

3) નાસભાગ, આગ અને અકસ્માતના આંકડા ભયાનક

મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગને કારણે 30 જણનાં મોત થયા હતા, પરંતુ તેની કુંભ પર કોઈ અસર જોવા મળી હતી. ત્રિવેણી સંગમના ઘાટમાં સ્પેમ્પેડને કારણે મોટી જાનહાનિ થઈ હતી. એના સિવાય અલગ અલગ દિવસોમાં મહાકુંભના ટેન્ટમાં આગ (19, 30 જાન્યુઆરી ્ને સાતમી ફેબ્રુઆરી) લાગવાના પણ બનાવ બન્યા હતા, જેમાં ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા, પરંતુ નુકસાન થયું નહોતું. આ ઉપરાંત, દિલ્હીમાં સ્ટેમ્પેડને કારણે અઢાર લોકોના મોત થયા હતા, જ્યારે અનેક રાજ્યોમાં કુંભ જતા અથવા રિટર્ન થતા પણ મોટા અકસ્માતો થયા હતા, જેમાં કૂલ મૃતકની સંખ્યા પણ 100ને પાર થઈ હશે.

4) રાષ્ટ્રપતિ સહિત તમામ ક્ષેત્રના લોકોએ લગાવી ડૂબકી

મહાકુંભના ત્રિવેણી સંગમ સહિત અન્ય ઘાટ ખાતે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિત રમતગમત, રાજકારણીઓ, ફિલ્મી, ઉદ્યોગપતિઓ સહિત અન્ય સેલિબ્રિટીઝ રોજ ડૂબકી લગાવતા હતા. મૂકેશ અંબાણી, ગૌતમ અડાણી સહિત વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ દિગ્ગજ નેતાઓએ ડૂબકી લગાવીને ભારતીય પરંપરા-સંસ્કૃતિ અને સનાતન ધર્મની સરાહના કરી હતી.

5) મહાકુંભનગર 76મો હંગામી જિલ્લો બનાવ્યો હતો

મહાકુંભમાં નદીઓના સંગમની સાથે પ્રાચીન પરંપરા અને આધુનિકતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોની દેખરેખ રાખવા માટે ડ્રોનવાળા કેમેરાનો ઉપયોગ કરવાની મેળાની પોલીસને આધુનિક રીતે સજ્જ કરવામાં આવી હતી. મહાકુંભના આયોજન માટે એક નવો જિલ્લો મહાકુંભ નગર બનાવ્યો હતો. મેળાના સંચાલન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર સહિત પોલીસ પ્રશાસનની નિમણૂક કરી હતી, જ્યારે 76મો હંગામી જિલ્લો બનાવ્યો હતો.

6) ગંગાજીની શુદ્ધતાને લઈને પણ વિવાદ કરવામાં આવ્યો

ગંગાજળની શુદ્ધતાને લઈને નેશનલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એનપીસીબી)ના રિપોર્ટ અને એના પર સરકારના રિપોર્ટને લઈ અનેક વૈજ્ઞાનિકો દ્વારા ગંગાજળની શુદ્ધતાને લઈ ચર્ચા કરવામાં આવી હતી અને એને લઈ વિપક્ષે પણ સરકાર પર ગંભીર સવાલો કર્યા હતા.

7) સાધુસંતોની સાથે 13 અખાડાના મહાત્માએ કર્યું સ્નાન

મહાકુંભ મેળામાં 13 અખાડાના સાધુસંતોએ કર્યું હતું સ્નાન. ખાસ કરીને મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમીના અમૃત સ્નાન કર્યું હતું. વસંત પંચમીના સ્નાન પછી અખાડા સાથે જોડાયેલા સંતોએ મહાકુંભનગરમાંથી વિદાય થયા હતા.

8) 50,000થી વધુ પોલીસના જવાનોએ કરી સુરક્ષા

મહાકુંભનગરમાં સાધુસંતો સાથે શ્રદ્ધાળુઓએ સ્નાન કરવા મુદ્દે સરકાર દ્વારા સમયાંતરે જે આંકડા આપ્યા એના પર વિપક્ષોએ નિશાન સાધ્યું હતું. સરકારે 1,800 એઆઈ કેમેરા સહિત 3,000થી વધુ કેમેરા, ડ્રોન અને 60,000 કર્મચારી મારફત શ્રદ્ધાળુઓની ગણતરી કરી હોવાનો દાવો કર્યો હતો. એના સિવાય શ્રદ્ધાળુની સુરક્ષા માટે 37,000 પોલીસના જવાન અને 14,000 હોમાગાર્ડને તહેનાત કરવામાં આવ્યા હતા.

9) રેલવેએ દોડાવી 15,000થી વધુ ટ્રેન અને 200 કિમીનો ટ્રાફિક

પ્રયાગરાજ પહોંચવામાં શ્રદ્ધાળુઓને બહુ મોટી મુશ્કેલી પડી હતી, જેમાં રેલવે, રોડ અને હવાઈ માર્ગે પહોંચવામાં લોકોને તકલીફ પડી હતી. ટ્રેનોમાં ગીચતા, હવાઈ ભાડાં આસમાને અને રસ્તાઓમાં જામ લાગ્યા હોવા છતાં કરોડો લોકો પ્રયાગરાજ પહોંચ્યા હોવાની હકીકત છે, જેને વિપક્ષો પણ નકારી શકે નહીં. રેલવેએ 15,000થી વધુ ટ્રેન દોડાવી હતી, જ્યારે બાય રોડ પહોંચવામાં લોકોને બે-ત્રણ દિવસ લાગ્યા પછી પણ પહોંચ્યા હતા.

10) 3 પોલીસ સ્ટેશન, 18 વોટર કંટ્રોલ રુમ અને 50 વોચ ટાવર રાખ્યા

મહાકુંભનગરને સુરક્ષા સહિત સુવિધા પૂરી પાડવા માટે પ્રશાસન દ્વારા ત્રણ પોલીસ સ્ટેશનનું નિર્માણ કર્યું હતું, જ્યારે વોટર કંટ્રોલ રુમ તેમ જ પચાસ વોટર ટાવર બનાવ્યા હતા. મહાકુંભને સોશિયલ મીડિયા પર યુટયુબરથી લઈને સરકારની જાહેરાતોને લઈ કુંભ ચર્ચામાં રહ્યો હતો. ઉપરાંત, વિવિધ અખાડાના સંતોની સાથે એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ, બ્રિટનના રોક બેન્ડ કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિન, સોશિયલ મીડિયા ફેમ હર્ષા રિછારિયા, માળા વેચનારી મોનાલિસા ભોસલે, આઈઆઈટી બાબા વગેરે પણ લાઈમલાઈટમાં રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!