Team Indiaના Coach તરીકે Gautam Gambhirની પસંદગી, કોઈ પણ સમયે BCCI કરશે જાહેરાત…
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Team India’s Head Coach Rahul Dravid)નો કાર્યકાળ જૂનમાં રમાનારી T20 વર્લ્ડકપ 2024 (T20 Worldcup- 2024) બાદ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં તેમના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવશે એ અંગે જાત જાતની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ બધા વચ્ચે હવે એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે બે વખતના વર્લ્ડ કપ ચેમ્પિયન ગૌતમ ગંભીર (Gautam Gambhir) ભારતીય ટીમના આગામી મુખ્ય કોચ બનશે.
એવું પણ કહેવાઈ રહ્યું છે કે ગંભીરે કોચ પદ માટે અરજી કરી છે અને હાલમાં બીસીસીઆઈ અને ગંભીર વચ્ચે વાતચીત ચાલી રહી છે. IPL ફ્રેન્ચાઈઝીના એક ખૂબ જ હાઈ-પ્રોફાઈલ માલિક, જે BCCIના ટોચના અધિકારીઓની ખૂબ નજીક છે, તેમણે જણાવ્યું હતું કે ગંભીરની નિમણૂક એક પૂર્ણ સોદો છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
એટલું જ નહીં પણ ગંભીરને આ માટે મનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો ગૌતમ ગંભીર ભારતીય ટીમનો કોચ બને છે તો તેણે કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટરનું પદ છોડવું પડશે. ટીમના માલિક શાહરૂખ ખાનની પરવાનગી વિના ગંભીર આ નિર્ણય નહીં લે. જો કે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ ખાન પણ આ વાતથી વાકેફ છે અને બંને વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને કોઈ પણ ક્ષણે આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
વાત કરીએ ગૌતમ ગંભીરના અનુભવની તો તેમની પાસેના બહોળા અનુભવે જ ભારતને 2011 અને 2007ના વર્લ્ડ કપમાં જીત અપાવી હતી. આ ઉપરાંત ગૌતમ ગંભીર પાસે IPLમાં કોચિંગનો અનુભવ છે અને આ અગાઉ લખનઉ સુપર જાયન્ટ્સ અને બાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર રહી ચૂક્યા છે.
ગંભીરના મેન્ટર બન્યા બાદ, કોલકાતા નાઈટ રાઈડર્સે આ વખતનો આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો હતો. આવી પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે તેમનાથી બીજો સારો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં એમાં તો કોઈ શંકા જ નથી.
