Teacher’s Day: કેમ 5મી સપ્ટેમ્બરના જ ઉજવવામાં આવે છે?
આજે આખા દેશમાં ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે આખરે દર વર્ષે કેમ 5મી સપ્ટેમ્બરના દિવસે જ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે? ચાલો આજે અમે તમને અહીં આ પાછળના કારણે વિશે જણાવીએ…
શિક્ષક દિનની ઉજવણી કરવા માટે આ દિવસની પસંદગી તેની કરવા પાછળ પણ એક ખાસ કારણ છે. 5મી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની ઉજવણી કરવાનું મુખ્ય કારણ એ છે કે આ દિવસે જ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે અને તમારી જાણ માટે કે ડો. રાધાકૃષ્ણન એક મહાન શિક્ષણશાસ્ત્રી, ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે શિક્ષણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું અને તેમના આ યોગદાનને ધ્યાનમાં લઈને જ પાંચમી સપ્ટેમ્બરનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5મી સપ્ટેમ્બર, 1888ના રોજ તમિલનાડુના તિરુતાની ખાતે થયો હતો અને તેઓ એક પ્રખ્યાત લેખક, શિક્ષક અને રાજકારણી એવા રાધાકૃષ્ણને ભારતના બૌદ્ધિક અને શૈક્ષણિક લેન્ડસ્કેપ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા.
જ્યારે ડૉ. રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઉજવવા તેમનો સંપર્ક કર્યો હતો અને એ સમયે જ ડૉ.રાધાકૃષ્ણને તેમના જન્મદિવસની ઉજવણી શિક્ષક દિન તરીકે કરવાનું સૂચન કર્યું હતું. તેમના સૂચનને આવકારીને 1962થી 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બસ એ દિવસ બાદથી જ દર વર્ષે 5મી સપ્ટેમ્બરને ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દેશવાસીઓને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી હતી.
Best wishes on #TeachersDay, an occasion to express gratitude to all teachers who shape young minds.
Tributes to Dr. Radhakrishnan on his birth anniversary. pic.twitter.com/ORfl2iCJat
— Narendra Modi (@narendramodi) September 5, 2024
વાત કરીએ શિક્ષક દિવસની તો એ માત્ર શિક્ષકોનું સન્માન કરવાનો દિવસ નથી પરંતુ તે તેમના યોગદાન માટે તેમને યાદ કરવાનો અને આભાર માનવાનો દિવસ છે. આપણે હંમેશા આપણા શિક્ષકોના આભારી રહેવું જોઈએ.