BJP VS Congress: સુરતમાં 21 કરોડની ટાંકી ધરાશાયી, ભાજપ પર કોંગ્રેસના પ્રહાર
ઉદ્ઘાટન પહેલા જ પત્તાના મહેલની જેમ તૂટી પાણીની ટાંકી, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ‘મોડલ’ પર જંગ.
સુરતઃ ડાયમંડ સિટી સુરતમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો, જેને કારણે ગુજરાત સરકારને વિરોધી પાર્ટીએ નિશાના પર લીધી હતી. સુરત જિલ્લામાં એક નવનિર્મિત પાણીની ટાંકી ટેસ્ટિંગ વખતે તૂટી પડવાને કારણે લોકોમાં નારાજગી વ્યાપી છે. અમદાવાદમાં અગાઉ ટાંકી તોડવા માટે જેસીબીનો આશરો લેવાની વાત કરીને સુરતમાં ઉદ્ધાટન પહેલા ટાંકી તૂટવાથી લોકોને આશ્ચર્ય થયું છે. બીજી બાજુ જિલ્લામાં 15 લાખ લીટરની ટાંકી તૂટી પડવાને કારણે આસપાસના રહેવાસીઓમાં ડરનો માહોલ ઊભો થયો હતો.
સુરતમાં 21 કરોડ રુપિયાના ખર્ચે બનાવેલી ટાંકી તૂટી પડવા મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આકરી ઝાટકણી કાઢી હતી. વીડિયો શેર કરતા લખ્યું હતું કે એક બાજુ કોંગ્રેસના શાસનમાં બનાવવામાં આવેલી ટાંકીને જેસીબી મારફત તોડવી પડી હતી, જ્યારે સુરતમાં નવનિર્મિત ટાંકી ઉદ્ધાટન પહેલા તૂટી પડી છે.
પાણીની ટાંકી તૂટવાથી બે મજૂર ઘાયલ થયા છે. પાણીની ટાંકીનું ટેસ્ટિંગ 19મી જાન્યુઆરીના કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે પોતાની પોસ્ટમાં કોંગ્રેસ મોડલ વિરુદ્ધ ભાજપ મોડલ લખીને નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે જે પાણીની ટાંકી બનાવી હતી એ 70 વર્ષ જૂની હતી, જેને બુલડોઝરથી તોડવી પડી હતી.
कांग्रेस मॉडल vs BJP मॉडल pic.twitter.com/msqx5KFmfG
— Congress (@INCIndia) January 20, 2026
મળતી માહિતી મુજબ તાડકેશ્વર ગામમાં 11 લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકીનું કામકાજ પૂરું થયું હતું. કામની મજબૂતી માટે 19 જાન્યુઆરીના ટાંકીને પૂરી ભરવામાં આવી હતી, જેમાં નવ લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ ભ્રષ્ટ તંત્રને કારણે ટાંકી પત્તાના મહેલના માફક તૂટી પડી હતી. બીજી બાજુ અમદાવાદના સારંગપુરમાં બનાવેલી ટાંકીને તોડવા માટે જેસીબીનો આશરો લેવો પડ્યો હતો.
કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના સંસદીય વિસ્તારમાં આ ઘટના ઘટી છે. પાણીની ટાંકી ધરાશાયી થયા પછી આસપાસના ગામના રહેવાસીઓમાં પણ નારાજગી વ્યાપી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે ટાંકી બનાવવા માટેના મટીરિયલ નબળું હતું. ઉદ્ધાટન પહેલા ટાંકી તૂટી પડવા મુદ્દે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ ભ્રષ્ટાચારી છે. લાખો રુપિયાના ખર્ચે નિર્માણ કરેલી પાણીની ટાંકી તૂટવા મુદ્દે જવાબદાર લોકો સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સુરતના સ્ટ્રક્ચરલ એન્જિનિયર મારફત તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
એવું કહેવાય છે કે આ પાણીની ટાંકી સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ વિસ્તારના તડકેશ્વર ગામમાં બનાવી હતી. ટાંકીમાં પાણીની ક્ષમતા 11 લાખ લીટર હતી, જ્યારે ઊંચાઈ પંદર મીટર હતી. ટાંકી મારફત લગભગ 33 ગામના રહેવાસીને પાણી પૂરું પાડવાની યોજના હતી, પણ ઉદ્ધાટન પહેલા તૂટી પડવાથી લોકોનું સપનું ચકનાચૂર થયું છે.
