February 19, 2026
ગુજરાતટોપ ન્યુઝ

સુરતમાં ગણપતિના મંડપ પર પથ્થરમારો કરતા બબાલ, અસામાજિક તત્ત્વોની અટક

Spread the love

સુરતઃ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના સુરતમાં મધરાતે ગણેશ પંડાલ પર અમુક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. બે સમુદાયના લોકો વચ્ચે મારામારીના બનાવ પછી પોલીસ પ્રશાસન પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.
આ અંગે પોલીસ અધિકારીએ કહ્યું કે ગણેશ પંડાલ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાના બનાવમાં બે જૂથ પડી ગયા પછી હિંસા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ અને પબ્લિક પર કરવામાં આવેલા પથ્થરમારા વચ્ચે અમુક ગાડીઓેને આગ લગાવવામાં આવી હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે અનેક લોકોની અટક કરવામાં આવી હતી, જ્યારે પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગેસના સેલનો ઉપયોગ કરવાની નોબત આવી હતી.
આ બનાવ પછી રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મધરાતે ખુદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ત્યારબાદ ગણેશ મંડપમાં ભગવાન ગણપતિની આરતી કરવામાં આવી હતી. ગૃહ પ્રધાનની સાથે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત અને સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.


આ અંગે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સુરતના સૈયદપુરા વિસ્તારમાં અમુક લોકોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ છ લોકોને ઉકસાવનારા લોકોની પણ અટક કરવામાં આવી હતી. જે લોકો રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે તેમની સામે સખત પગલાં ભરવામાં આવશે.
આ બનાવ અંગે સુરતના પોલીસ કમિશનરે કહ્યું હતું કે ગણેશ મંડપ પર અમુક લોકોએ પથ્થરમારો કર્યા પછી તણાવની પરિસ્થિતિ ઊભી થઈ હતી. બે સમુદાયના લોકો વચ્ચે મારામારી કરવામાં આવ્યા પછી પરિસ્થિતિ વણસી હતી. ઘટનાસ્થળે પોલીસ પહોંચ્યા પછી હિંસા ફેલાય એ પૂર્વે પોલીસને લાઠીચાર્જ કરવાની ટિયર ગેસનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. શાંતિ ભંગ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે પરિસ્થિતિને અંકુશમાં લાવવા માટે એક હજારથી વધુ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!