રામનવમી વિશેષઃ શ્રીનગરમાં ૩૬ વર્ષ બાદ ઐતિહાસિક રઘુનાથ મંદિરના દ્વાર ખૂલ્યાં
કાશ્મીરમાં સનાતન સંસ્કૃતિનો પુનરુત્થાન: દોઢ કરોડના ખર્ચે જીર્ણોદ્વાર બાદ ભક્તો માટે હરખની હેલી

કાશ્મીર ખીણમાં આજે પણ સનાતન સંસ્કૃતિ ધબકી રહી છે અને આજે રામનવમીના દિવસે શ્રીનગરના ઐતિહાસિક મંદિર વીરવાર માટે ખાસ છે. લગભગ 36 વર્ષના લાંબા સમયગાળા પછી રામનવમી મંદિરના દ્વાર સત્તાવાર રીતે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. 1990માં કાશ્મીરી પંડિતોના પલાયન પછી સૂના થઈ ગયેલા મંદિરના દ્વાર ખોલતા કાશ્મીરમાં વસતા હિંદુઓ માટે ખુશીનો માહોલ છે, જે કાશ્મીરની સંસ્કૃતિની એકતાનું નવું ઉદાહરણ છે.
શ્રીનગરના ડલ હસન યાર ક્ષેત્રમાં ઝેલમ નદીના ડાબી બાજુમાં મંદિર ભગવાન વિષ્ણુના અવતારમાં રામ ભગવાનને સમર્પિત છે. આ મંદિર પારંપારિક શિખર (પહાડી ટોચ)ની શૈલીમાં બનાવ્યું છે, જે જમ્મુના રઘુનાથ મંદિરના પરિસરની વાસ્તુકલા શૈલીની એક ઝલક છે. એક જમાનામાં કાશ્મીરમાં રામનવમીના સૌથી મોટો મંદિર પૈકીનું એક હતું. છ વર્ષ પહેલા 2020માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે સરકારના પાયલટ પ્રોજેક્ટ તરીકે આ મંદિરનો જીર્ણોદ્વારનું કાર્ય શરુ કર્યું હતું અત્યાર સુધીમાં તેના પાછળ સરકારે દોઢ કરોડ રુપિયાનો પણ ખર્ચ કર્યો છે.
રઘુનાથ મંદિર સમિતિના અધ્યક્ષ ભારત રૈનાએ કહ્યું હતું કે આતંકવાદ શરુ થયા પછી કાશ્મીરી પંડિતોના પલાયન પછી આ મંદિરમાં રામ નવમીનું પર્વની કોઈ ઉજવણી કરવામાં આવી નથી. કાશ્મીરી પંડિતોના પલાયન પછી મંદિરના દરવાજા પર પણ તાળા મારવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી કમિટીએ તેનું નવીનીકરણનું કામ કર્યું અને હજુ નિર્માણ કાર્ય ચાલુ છે. મંદિરમાં હવનકુંડ તૈયાર કર્યું છે. મૂર્તિ સ્થાપના કરી નથી, કારણ કે નિર્માણ કાર્ય અધૂરું છે. આજે મંદિરમાં સંપૂર્ણ આરતી કરવામાં આવશે.
1835માં મહારાજા ગુલાબ સિંહે નિર્માણ કાર્ય શરુ કર્યું
કાશ્મીરમાં રઘુનાથ મંદિરનું નિર્માણ કાર્ય 1835માં મહારાજા ગુલાબ સિંહે કર્યું હતું. મહારાજા રણબીર સિંહે 1860માં કામ પૂરું કર્યું. અમુક દસ્તાવેજોના નિર્માણ તારીખ 1875માં બતાવી છે. પંડિતોના પલાયનના લગભગ 36 વર્ષના લાંબા ઈંતજાર પછી હબ્બાકદ સ્થિત આ મંદિર ફરી ખૂલ્યું છે. કાશ્મીરવાસીઓમાં ખુશી છે, કારણ કે આ મંદિર હિંદુઓનું જ નહીં, પરંતુ સમગ્ર કાશ્મીરનો વારસો છે, જ્યારે તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે.
રામ નવમીનું મહત્ત્વ
હિંદુ ધાર્મિક કેલેન્ડર પ્રમાણે એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનામાં નવરાત્રની નવમીના દિવસે થયો હતો. ભગવાન રામનો જન્મદિવસ હોવાથી ચૈત્ર નવરાત્રીની નવમીનો છેલ્લો દિવસ હિંદુ ધર્મમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન રામે પૃથ્વી પર અવતાર લીધો હતો. ભગવાન રામને વિષ્ણુનો સાતમો અવતાર ગણાય છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે ધર્મનો ત્યાગ કર્યો નહોતો અને અધર્મને પણ માફ કર્યો નહોતો. હિંદુ ધર્મના અનુયાયીઓ માટે રામ નવમીનું વિશેષ મહત્ત્વ છે. ભારત સહિત દુનિયાભરના સનાતનીઓ અને હિંદુ ધર્મના લોકો આજના દિવસે ભગવાનની ભાવભક્તિથી પૂજાપાઠ કરે છે.
રામનવમી 2026 ક્યારે છે?
હિન્દુ પંચાંગ મુજબ, નવમી તિથિ 26 માર્ચ 2026 ના રોજ સવારે 11:48 વાગ્યે શરૂ થશે અને 27 માર્ચ 2026 ના રોજ સવારે 10:06 વાગ્યે સમાપ્ત થશે. આ કારણે બે અલગ-અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે. ઉદય તિથિ: ઉદય તિથિને માનનારા લોકોના મતે, 27 માર્ચ 2026 ના રોજ રામનવમી ઉજવવી વધુ શુભ રહેશે. મધ્યાહન કાળ: ભગવાન શ્રીરામનો જન્મ મધ્યાહન કાળમાં થયો હતો, તેથી 26 માર્ચ ના રોજ પણ આ પર્વ મનાવવો શુભ માનવામાં આવે છે. 27 માર્ચના વૈષ્ણવ સંપ્રદાયના લોકો રામનવમીની ઉજવણી કરશે, જ્યારે રામ જન્મભૂમિ અયોધ્યામાં આવતીકાલે ભવ્ય આયોજન કરવામાં આવશે.
