ગણતંત્ર દિવસ પર આતંકી હુમલાનું કાવતરું: દિલ્હી-અયોધ્યા એલર્ટ
પાકિસ્તાની ISI અને જૈશનું ‘કોડ 26-26’ ષડયંત્ર; દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

26મી જાન્યુઆરીના દેશના અનેક શહેરોમાં આતંકવાદી હુમલા કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ, જૈશ-ઐ-મોહમ્મદની સાથેના 26-26 નામના કોડથી આતંકવાદી હુમલો કરવાની યોજનામાં છે. ગુપ્તચર વિભાગના મળેલા ઈન્પુટના આધારે દેશના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવાનો આદેશ આપ્યો છે, જ્યારે પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ગુપ્તચર વિભાગના રિપોર્ટને લઈ દિલ્હી પોલીસ, જમ્મુ કાશ્મીર પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીને એલર્ટ કરવામાં આવી છે. આતંકવાદી જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે પહેલી વખત એક વિશેષ વોન્ટેડ લોકોની નોટિસ જારી કરી છે, જેમાં અલ કાયદા (એક્યુઆઈએસ)ના સંદીગ્ધ આતંકવાદી અને દિલ્હીના રહેવાસી મોહમ્મદ રેહાનની તસવીરોનો પણ સમાવેશ થાય છે.
પોસ્ટમાં શાહીદ ફૈઝલનું નામ પણ છે, જે બેંગલુરુના રામેશ્વર કેફેમાં બ્લાસ્ટ સહિત દક્ષિણ ભારતના અનેક મંદિરોમાં વિસ્ફોટ કરવામાં માસ્ટરમાઈન્ડ છે. ગુપ્તચર વિભાગે ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠન 26મી જાન્યુઆરી પૂર્વે દેશના અલગ અલગ ભાગમાં એક સાથે હુમલો કરવાની ફિરાકમાં છે.
સિક્રેટ કોડ 26-26નો અર્થ પણ ડીકોડ કરવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે ગણતંત્ર દિવસ પૂર્વે આતંકવાદી હુમલો કરવામાં આવશે. આતંકવાદીઓના નિશાના પર દેશના મોટા મંદિરનો સમાવેશ થાય છે, જેથી અસ્થિરતા-અંધાધૂંધીનું નિર્માણ થાય. ગુપ્તચર વિભાગના એલર્ટને લઈ સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ ફોર્સ સિવાય સરહદી વિસ્તારમાં બીએસએફને એલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, ઉત્તર ભારતની સુરક્ષા એજન્સીને એલર્ટ રહેવાની સાથે પેટ્રોલિંગમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે.
