રિલાયન્સ જીયોનો IPO ક્યારે આવશે, મુકેશ અંબાણીએ એજીએમમાં જાહેરાત કરી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ જિયોના આઈપીઓ અંગે સ્પષ્ટતા કરી. 2026ના પ્રથમ ત્રણ મહિનામાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કરાશે, જેનો ઉદ્દેશ્ય રોકાણકારો માટે મૂલ્ય વધારવાનો છે.
મુંબઈઃ ભારતની સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના આઈપીઓ અંગે સૌથી મોટી અપડેટ આપી હતી. મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ની એન્યુઅલ જનરલ મીટિંગ (એજીએમ)માં જાહેરાત કરતા કહ્યું હતું કે જીયોના આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર ટૂંક સમયમાં ફાઈલ કરવામાં આવશે અને 2026ના પહેલા ત્રણ મહિનામાં રિલાયન્સ જીયોનો આઈપીઓ લોન્ચ કરવાની યોજના છે.

50 કરોડથી વધુ ગ્રાહક
જીયોની પાસે 50 કરોડથી વધુ ગ્રાહક છે. કંપનીના 5જી, ફિક્સ્ડ બ્રોડબેંક અને એઆઈ ટેક્નોલોજીમાં સૌથી મોટું રોકાણ છે. જીયોના શેરબજારમાં લિસ્ટ થવાથી રોકાણકારોને રોકાણ કરવાની તક મળી શકે છે. એક અંદાજ પ્રમાણે જીયો કંપનીનો આઈપીઓ મારફત 12થી 13 લાખ કરોડ રુપિયા એકત્ર કરી શકે છે અને એનો ઉપયોગ પણ કંપની બિઝનેસ એક્સપાન્ડ કરવા કરી શકે છે.
કૂલ આવક 1.28 લાખ કરોડ થઈ
કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું ગ્લોબલ લેવલ પર શેરહોલ્ડર્સ માટે વેલ્યુ અનલોક કરવામાં આવશે. હાલમાં જીયોના 500 મિલિયન કસ્ટમર્સ છે. જીયોની કૂલ આવક 1.28 લાખ કરોડ હતી, જ્યારે મજબૂત પ્રદર્શનનો નિર્દેશ કરે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે 2025માં કંપનીનું શાનદાર પ્રદર્શન રહ્યુ હતું અને ભારતની સૌથી પહેલી કંપની બની ગઈ છે, જેને 125 અબજ ડોલરની વર્ષની કમાણી કરી છે. રિલાયન્સના ઈબિટા EBITDA 1,83,422 કરોડ અને ચોખ્ખો નફો 81,309 કરોડ રહ્યો છે.
સરકારી તિજોરીમાં 10 લાખ કરોડ રુપિયાથી વધુ યોગદાન
રિલાયન્સની નિકાસની વાત કરીએ તો 2,83,719 કરોડ રહી હતી, જે ભારતની કૂલ નિકાસના 7.6 ટકા હિસ્સો છે, જે ભારતની સૌથી મોટી નિકાસકર્તા કંપની છે, જ્યારે 2025માં 2,10,269 કરોડ રુપિયાનો ટેક્સ આપ્યો છે, જેથી દેશના વિકાસમાં રિલાયન્સનું મોટું યોગદાન હોવાનું કહી શકાય, કારણ કે છેલ્લા છ વર્ષમાં કંપનીની સરકારી તિજોરીમાં રિલાયન્સનું દસ લાખ કરોડ રુપિયાથી વધુ યોગદાન રહ્યું છે.
ભારતની અર્થવ્યવસ્થા દસ ટકાના વૃદ્ધિદરથી આગળ વધી શકે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ એજીએમમાં ગ્રુપ વધુ એક નવી કંપની બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કંપની એઆઈ પર એક નવી સબ્સિડિયરી રિલાયન્સ ઈન્ટેલિજન્સ બનાવશે, જેનાથી ગૂગલ અને મેટા પાસે ભાગીદારી કરશે, એમ પણ જાહેરાત કરવામાં આવી હતી. ગ્રુપના વિકાસની યોજના સાથે દેશના અર્થતંત્ર અંગે આશાવાદી વલણ વ્યક્ત કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા દસ ટકાના વૃદ્ધિદરથી આગળ વધી શકે છે.
