બમ બમ ભોલેઃ 12 વર્ષથી બાબા અમરનાથના દર્શને જાય છે આ દિવ્યાંગ ભક્ત, જાણો કોણ છે?
નવી દિલ્હીઃ અમરનાથની યાત્રાનો શુભારંભ બાબા બરફાનીના નાદથી શરુ થયો છે. રોજે રોજ તબક્કાવાર એક પછી એક બેચમાં રહેલા ભક્તોને દર્શન માટે રવાના કરવામાં આવી રહ્યા છે. પણ એવા ભક્તની વાત કરીએ જે છેલ્લા અગિયાર વર્ષથી પગ નહીં હોવા છતાં દર્શને જાય છે. રાજસ્થાનના જયપુરના રહેવાસી આનંદ સિંહના નામના ભક્ત દર વર્ષે અમરનાથ જાય છે. 2002માં એક અકસ્માતમાં પોતાના બે પગ ગુમાવ્યા પછી હરવા-ફરવાનું મુશ્કેલ બન્યું હતું, પરંતુ એના પછી આનંદ સિંહે 14 વર્ષમાં 11 વખત બાબાના દર્શન કર્યા છે અને આ વર્ષે તેઓ બારમી વખત દર્શન કરવા નીકળી પડ્યા છે.
અમરનાથ જનારી ત્રીજી બેચમાં 6,000 ભક્તોનો સમાવેશ થાય છે, જેમાં આનંદ સિંહનો પણ સમાવેશ થયો હતો. દર વર્ષે આનંદ સિંહ જમ્મુના ભગવતી નગર આધાર કેમ્પથી રવાના થયા હતા. ભગવાન શિવના ભક્ત આનંદ સિંહ 3,880 મીટરની ઊંચાઈ આવેલા બાબા અમરનાથની ગુફાના બારમી વખત દર્શન કરશે.
આ અંગે આનંદ સિંહે કહ્યું હતું કે 2002માં અકસ્માત પછી પોતાના બે પગ ગુમાવ્યા પછી આનંદ સિંહે 2010માં અમરનાથ યાત્રાની શરુઆત કરી હતી અને 14 વર્ષમાં તો 11 વખત યાત્રા કરી ચૂક્યા છે. ભગવાન ભોળાનાથની ભક્તિની વચ્ચે આનંદ સિંહની શારીરિક વિકલાંગતા અવરોધરુપ બની નહોતી. અમરસિંહે કહ્યું હતું કે 2010માં બાબાના દરબારમાં દર્શને જવાનું શરુ કર્યું. 2013માં કેદારનાથમાં પૂરને કારણે અને કોરાના મહામારીને અમરનાથ યાત્રા સ્થગિત કરી હતી. બંને પગથી દિવ્યાંગ આનંદ સિંહ બેસવા માટે ટ્રકના ટાયરના ભાગનો ઉપયોગ કરે છે અને પગ નહીં હોવાથી હાથના ટેકે ચાલે છે.
શરુઆતમાં ચારથી પાંચ વર્ષ સુધી હું હાથના ટેકે ચાલીને યાત્રા પૂરી કરી હતી, પરંતુ એના પછી મારી હાલત વધુ ખરાબ બનતી જતી હતી. હવે અમરનાથી ગુફા પહોંચવા માટે પાલકી યાત્રા કરું છું. ભગવાન ભોળાનાથ સાથે મારો વિશેષ લગાવ છે અને વર્ષે વર્ષે એ સંબંધ વધુ મજબૂત બનતો જાય છે, તેથી હું દર વર્ષે દર્શન કરવા જાઉ છું, એમ આનંદ સિંહે જણાવ્યું હતું.
પોતે દિવ્યાંગ હોવા છતાં અમુક લોકો પોતાના અંગે સારી-નરસી પ્રતિક્રિયા આપતા હોય છે. લોકો મારી ટીકા કરે તો પણ હું એના અંગે કોઈ વિશેષ ધ્યાન પણ આપતો નથી. મારી જાતને પણ એ વાતથી મનાવું છું કે બધા લોકો એક સરખા હોતા નથી.
અહીં એ જણાવવાનું કે દક્ષિણ કાશ્મીરમાં આવેલા હિમાલયના અનંતનાગ જિલ્લામાં પહલગામમાં બાબા અમરનાથની ગુફા આવેલી છે, જ્યાં દર વર્ષે 29મી જૂનથી યાત્રા શરુ થાય છે અને બાવન દિવસ સુધી યાત્રા ચાલે છે. આ વખતે પણ 19મી ઓગસ્ટના યાત્રા પૂરી થશે. આ ગુફાની શોધ 150 વર્ષ પહેલા એક મુસ્લિમ ભરવાડે કરી હોવાનું કહેવાય છે.