24 કલાક પહેલા ટિકિટ કન્ફર્મ થશે કે નહીં, એ ખબર પડશે! પ્રવાસીઓ માટે રેલવેનો મોટો નિર્ણય
અત્યારે 4 કલાક પહેલાં ચાર્ટ બનાવાય છે, પરંતુ નવા નિયમ મુજબ હવે 24 કલાક પહેલાં મળી જશે તમારા રિઝર્વેશનની ખબર
દેશમાં જાહેર પરિવહન ક્ષેત્રે ટ્રેનની સુવિધા જેવી સસ્તી અને ઝડપી વિકલ્પ કોઈ નથી. રોજના હજારો ટ્રેન દોડાવાય છે, ત્યારે લાખો પ્રવાસી હજારો કિલોમીટરના માઈલ દૂર પોતાની મંજિલે પહોંચે છે, પરંતુ ટિકિટ નહીં મળવાથી લઈને વેઈટિંગ સુધીની ઉપાધિ સામાન્ય પ્રવાસી માટે મુસીબત સમાન છે. તેમાંય વળી બુકિંગ થયા પછી પણ કન્ફર્મ ટિકિટ થાય કે નહીં એના માટે પણ પ્રવાસીઓને ચાર કલાક પહેલા મથામણ કરવી પડે છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રેલવેએ કમર કસી છે.
લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ માટે રેલવે એક નવો નિયમ લાવવા વિચારી રહી છે, જેનાથી પ્રવાસીઓને ટ્રેનમાં સીટ નહીં મળનારા પ્રવાસીઓને ફાયદો થઈ શકે છે. નવા નિયમ મુજબ રેલવે ટ્રેનની જર્ની શરુ થયાના 24 કલાક પૂર્વે ચાર્ટ જારી કરવાની યોજના બનાવી રહ્યું છે, જેથી 24 કલાક પૂર્વે પ્રવાસી પોતાની ટ્રેનની પોઝિશન જાણી શકશે.
બિકાનેર ડિવિઝનમાં પાયલટ પ્રોજેક્ટ સફળ
અત્યારે ચાર કલાકમાં ચાર્ટ પ્રિપેર કરવામાં આવે છે, જેમાં છેલ્લી ઘડીએ ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ નહીં થયા પછી પ્રવાસીને દોડાદોડી કરવાની નોબત આવે છે. એટલું જ નહીં, કાં તો પ્લાન રદ કરવો પડે અથવા ડબલ પૈસામાં મુસાફરી કરવાનો વખત આવે છે. પ્રવાસીઓને પડનારી સમસ્યાના ઉકેલ માટે ભારતીય રેલવે હવે 24 કલાક પૂર્વે ચાર્ટ તૈયાર કરવાની યોજના બનાવી છે. રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં આ યોજના રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં છ જૂનથી શરુ કરી છે, જેમાં અત્યાર સુધીમાં કોઈ મુશ્કેલી આવી નથી. આગામી દિવસોમાં આ યોજના અન્વયે કામગીરી ચાલુ રહેશે અને જો કોઈ મુશ્કેલી આવશે તો તેને રેક્ટિફાય કરવામાં આવશે.
છેલ્લી ઘડીએ પ્લાન બનાવનારાને અસર થશે નહીં
અધિકારીએ દાવો કર્યો હતો કે જો પ્રવાસીઓને સ્ટેશન પહેલા પ્રવાસીઓને જાણ થતી હોય છે, તેથી દોડાદોડી કરવી પડે છે.જોકે 24 કલાક પહેલા જો પ્રવાસીને જાણ થઈ જાય કે તેની ટિકિટ કન્ફર્મ છે કે નહીં તો ચોક્કસ ફાયદો થાય છે અને પ્રવાસીની મુશ્કેલી દૂર થાય છે. નવી સિસ્ટમ અન્વયે પ્રવાસીઓને પોતાની યાત્રા યોગ્ય રીતે પ્લાન કરવામાં ફાયદો થશે. જોકે, આ અંગે રેલવે એક્ટિવિસ્ટે કહ્યું હતું કે નવા નિયમથી એવા પ્રવાસીઓ પર અસર પડશે નહીં, જે છેલ્લી ઘડીએ પ્લાન બનાવે છે કે તત્કાલ ટિકિટ પર કરે છે પ્રવાસ. તત્કાલ ટિકિટ ખાસ કરીને 24 કલાક પહેલા બુક કરવામાં આવે છે, તેથી એક દિવસ પહેલા ચાર્ટ તૈયાર કરવાથી કોઈ સમસ્યા ઊભી થશે નહીં.
તત્કાળ ટિકિટવાળા પ્રવાસીઓને ફાયદો થશે કે નહીં
હાલના તબક્કે એ સ્પષ્ટ થયું નથી કે રેલવે કન્ફર્મ રિઝર્વેશન પ્રવાસીઓની બીજી અને ત્રીજી યાદી જારી કરશે કે નહીં. એવું પણ થઈ શકે કે અનેક પ્રવાસીઓની કન્ફર્મ ટિકિટ હોવા છતાં છેલ્લા 24 કલાકમાં બુકિંગ રદ્દ કરે છે. આ અગાઉ રેલવે રિઝર્વેશન ચાર્ટ સામાન્ય રીતે બે વખત તૈયાર કરવામાં આવતા હતા. પહેલા ચાર્ટ ટ્રેન નિર્ધારિત સમયે રવાના થયાના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો અને બીજો અને છેલ્લો ચાર્ટ ટ્રેન રવાના થયાની 30 મિનિટ પહેલા તૈયાર કરાય છે, પરંતુ રેલવે પ્રવાસીઓને નવો નિયમ શક્ય છે કે પસંદ આવી શકે છે.
રોજના કેટલી તત્કાલ ટિકિટ બુક કરવામાં આવે છે
છેલ્લી ઘડીએ ટ્રાવેલનો પ્લાન કરનારા કે ઈમર્જન્સીને ધ્યાનમાં રાખીને રેલવેએ તત્કાલ ટિકિટ બુક કરવાની યોજના ઘડી છે. એક અંદાજ પ્રમાણે રેલવેમાં રોજ 2.25 લાક લોકો તત્કાલ ટિકિટ બુક કરે છે, જેમાંથી લગભગ 1.18 લાખ ટિકિટ વિધાઉટ એસી ક્લાસની બુક કરે છે, જેમાંથી 66.4 ટકા ટિકિટ પહેલી 10 મિનિટમાં બુક થાય છે. એક વ્યક્તિ સામાન્ય રીતે ચાર તત્કાલ ટિકિટ બુક કરી શકે છે અને તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય સવારના દસ વાગ્યાથી (એસી) અને અગિયાર વાગ્યાથી નોન એસીની શરુઆત થાય છે.
રેલવે ટિકિટ કેન્સલેશનમાંથી પણ કમાણી કરે છે
રેલવે ટિકિટ બુકિંગમાં કમાણી કરે છે, પરંતુ ટિકિટ કેન્સલેશનમાંથી આવક કરે છે. રેલવે માટે કાર્યરત સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમ મતલબ ક્રિસના અહેવાલ અનુસાર 2017થી 31 જાન્યુઆરી 2020 સુધીમાં રેલવેએ રિઝર્વેશન કેન્સલેશનથી 9,000 કરોડની કમાણી કરી હતી. બીજી બાજુ રેલવે બુકિંગ પર આઈઆરસીટીસી (ઓનલાઈન બુકિંગ) પાસેથી કન્વેયન્સ વસૂલે છે, જેમાં કન્વેયન્સ પેટે રેલવેએ આઈઆરસીટીસી પાસેથી 2019-20માં 352 કરોડની કમાણી કરી હતી, જ્યારે 2020-21માં 299 કરોડ, 2021-2022માં 694 કરોડ અને 2022-23માં 604 કરોડની કમાણી કરી હતી.