June 30, 2025
ગુજરાતટોપ ન્યુઝ

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે, IMDએ આપ્યું રેડ એલર્ટ

Spread the love


રાજ્યના 195 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન પર અસર, સરકાર એલર્ટ

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની શરુઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ એક્ટિવ થઈ ગઈ છે, ત્યારે આઈએમડીએ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેવામાં રાજ્યમાં ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જ્યારે આજે સવારના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના પાલિતાણામાં 11 ઈંચ, જેસર-સિહોરમાં 10-10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના 16 જૂનના નાઉકાસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં આજે રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના 18 થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે ચાલો જાણીએ આગામી ત્રણ દિવસ કેવું રહેશે હવામાન.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું જામી રહ્યું છે ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ક્લેક્ટરને સાવધ રહીને નાગરિકોની સુરક્ષા માટે જરુરી પગલા ભરવાની તાકીદ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગે જરૂરી સૂચનાઓ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટર્સને આપી છે.

હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા અને વરસાદને કારણે ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવાના જરૂરી દિશાનિર્દેશ પણ આપ્યા છે. મુખ્યમંત્રીએ નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળાના વહેતા અને ભયજનક પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ પણ અવારનવાર નાગરિકોને સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.

તલગાજરડામાં 38 જેટલા વિદ્યાર્થીને સલામત રીતે બચાવ્યાં
ગઈકાલે બપોરે આશરે 1:00 કલાકે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓ અચાનક રૂપાવ નદીમાં આવેલા જળસ્તર અને પુરના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ તમામ બાળકોને સમયસર સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે જળપ્રવાહ ખૂબ તેજ હોવાથી રોડ ક્રોસ કરતી વેળાએ તેમને નદીના બાજુના એક ખાનગી મકાનમાં આશ્રય લેવા મજબૂર થવું પડ્યું હતું.

આ ઘટના અંગે તાત્કાલિક તાલુકા તંત્રને જાણ થતા મહુવા ફાયર ટીમ, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગામ લોકોના સહયોગથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં ફાયર ટીમે બોટ દ્વારા શાળાના બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ટ્રેક્ટર દ્વારા પાણીમાં પ્રવેશ કરીને અંદાજે 50 મીટર દૂર ફસાયેલા બાળકો સાથે સંપર્ક કરવામાં આવ્યો.વરસાદ ધીમો પડતા અને પાણીનો પ્રવાહ ઘટતા સુરક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.સ્થળ પર માનવ સાંકળ (Human Chain) બનાવી તમામ બાળકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા.ઘટનામાં કોઈ પણ બાળકને ઇજા કે જાનહાની થઇ નથી.તમામ બાળકો સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.

સાવચેતીના ભાગરૂપે જામનગર એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. જરૂર પડે તો સ્થિતિમાં એર લિફ્ટિંગની તૈયારીઓ પણ રાખવામાં આવી હતી.જામનગરથી હેલિકોપ્ટર પણ રવાના કરવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!