વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલઃ રાજ્યપાલ બદલાયા
પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકાર્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી મહત્ત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર કરવાની રાહ જોવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુએ શનિવારે મધરાતે મહારાષ્ટ્ર સહિત અન્ય નવ રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ ભવન તરફથી જાણકારી આપતા જણાવાયું હતું કે દેશના નવ રાજ્યના નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હાલના રમેશ બૈસના સ્થાને તમિલનાડુના સીપી રાધાકૃષ્ણની નિમણૂક કરવામાં આવી છે. સીપી રાધાકૃષ્ણન ઝારખંડ સાથે તેલંગણાનો પણ કાર્યભાર સંભાળશે. નવ રાજ્યના રાજ્યપાલની નિમણૂક કર્યા તારીખથી કાર્યભાર સંભાળશે, એમ રાષ્ટ્રપતિ ભવનના અહેવાલમાં જણાવ્યું છે.
સીપી રાધાકૃષ્ણન ભાજપના સિનિયર નેતા અને કોઈમ્બતુરના સાંસદ છે. આરએસએસ અને જનસંઘ સાથે સંકળાયેલા સીપી રાધાકૃષ્ણન તમિલનાડુમાં જાણીતા નેતા છે. 1998માં લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા. 2014ની ચૂંટણીમાં 3.89 લાખ મતથી વિજયી બન્યા હતા. 2019માં પણ કોઈમ્બતુરથી 3.92 લાખ મત મળ્યા હતા. ભાજપમાં મહત્ત્વનું સ્થાન ધરાવનારા સીપી રાધાકૃષ્ણન ભાજપની નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર પણ રહી ચૂક્યા છે, જ્યારે કેરળના ભાજપના પ્રભારી રહી ચૂક્યા છે. આ અગાઉ ઝારખંડના રાજ્યપાલ હતા.
બરેલીથી અનેક વખત સાંસદ રહી ચૂકેલા સંતોષ કુમાર ગંગવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા નહોતા, પરંતુ હવે તેમને ઝારખંડના રાજ્યપાલ બનાવાયા છે, જ્યારે છત્તીસગઢના રાજ્યપાલ તરીકે રેમન ડેકાની નિમણૂક કરી છે. આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને હવે પંજાબના રાજ્યપાલ બનાવ્યા છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
તેલંગણા, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, મેઘાલય સહિત મહારાષ્ટ્રના નવા રાજ્યપાલની નિમણૂકની જાહેરાત કરી છે. અલબત્ત, ઝારખંડના રાજ્યપાલ રહી ચૂકેલા સીપી રાધાકૃષ્ણ હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ બનશે. લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે, જ્યારે તેમની પાસે મણિપુરના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર પણ રહેશે. મેઘાલયના રાજ્યપાલ તરીકે સીએચ વિજયશંકરને જવાબદારી સોંપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવન વતીથી આપેલી માહિતી અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામ તેમ જ મણિપુરની જવાબદારી આપી છે. આ ઉપરાંત, પુડુચેરીના નાયબ ગવર્નર તરીકે કે. કૈલાશનાથને વરણી કરી છે અને પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર બનવારી લાલ પુરોહિતનું રાજીનામું મંજૂર કરાયું છે. 83 વર્ષના બનવારીલાલે વ્યક્તિગત કારણસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. સપ્ટેમ્બર 2021માં પંજાબના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
