મહાકુંભમાં જતી બોલેરો બસ સાથે ટકરાઈઃ ઘટનાસ્થળે 10 શ્રદ્ધાળુના મોત
પ્રયાગરાજના મિરઝાપુર રોડ પર આજે વહેલી સવારે બોલેરો અને બસ વચ્ચેના ભીષણ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે, જ્યારે 19 જણ ઘાયલ થયા છે. શ્રદ્ધાળુઓ કુંભમાં જઈ રહ્યા હતા ત્યારે અધવચ્ચે અકસ્માતનો શિકાર બન્યા હતા. ઘટના પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કરતા પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવાના આદેશ આપ્યા હતા.
અકસ્માત અંગે પોલીસે કહ્યું કે બોલેરાના ડ્રાઈવરને અચાનક ઊંઘ આવી ગઈ હોવાથી અકસ્માત થયો હોઈ શકે છે. અકસ્માત વખતે શ્રદ્ધાળુઓ ભરઉંઘમાં હતા. આ તમામ લોકો છત્તીસગઢના રહેવાસી છે. આજે વહેલી સવારના બે વાગ્યાના સુમારે મિર્ઝાપુર હાઈવે ખાતે પુરા ગામમ નજીક એક બોલેરોની બસ સાથે ટક્કર થઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા છે.
આ અકસ્માત પછી પોલીસ પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે અસરગ્રસ્તોને તાકીદે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકનો પોસ્ટમોર્ટમ માટે સ્વરુપ રાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મૃતકની ઓળખ ઈશ્વરી પ્રસાદ જયસ્વાલ, સંતોષ સોની, ભાગીરથી જયસ્વાલ, અજય બંજારે, સૌરભ કુમાર સોની, ગંગાદાસ વર્મા, શિવા રાજપૂત, દીપક વર્મા અને રાજુ સાહુ તરીકે કરવામાં આવી છે. આ અકસ્માત અંગે ગુનો નોોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
પીડિત પરિવારને અકસ્માત અંગે જાણકારી પૂરી પાડવામાં આવી છે. સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી પાર પાડવામાં આવી હતી અને ઘાયલ લોકોને રામનગરના સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાનના આદેશ પછી હોસ્પિટલમાં વિશેષ મેડિકલ ટીમને તહેનાત કરવામાં આવી હતી.
દરમિયાન અન્ય એક અકસ્માતમાં એક કારને આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા પછી કાર બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ કારની નંબર પ્લેટ લખનઊની છે યુપી32 કેએન 8991 છે.