પૂજા ખેડકરના વિવાદ વચ્ચે યુપીએસસીના ચેરમેને આપ્યું રાજીનામું
મહારાષ્ટ્રમાં આઈએએસ પૂજા ખેડકરના વિવાદ વચ્ચે યુપીએસસીના પ્રમુખ મનોજ સોનીએ રાજીનામું આપીને સૌને ચોંકાવી નાખ્યા છે. મનોજ સોનીએ જૂન મહિનાના અંતમાં રાજીનામું આપ્યું હતું, પરંતુ સત્તાવાર માહિતી પ્રકાશમાં આવી નહોતી. ડીઓપીટીએ રાજીનામું સ્વીકાર્યું નથી. મનોજ સોનીનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો, પરંતુ કોઈ મિશનને લઈ રાજીનામું આપ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
2017માં યુપીએસસીના સભ્ય હોવાને નાતે સંગઠનમાં જોડાયા હતા, ત્યારબાદ 2023માં પ્રમુખ બન્યા હતા અને 2029માં કાર્યકાળ પૂરો થવાનો હતો પણ અચાનક રાજીનામું આપીને સમગ્ર યુપીએસસી સંગઠનને ચોંકાવ્યું છે.
હવે એવું કહેવાય છે કે તેઓ ગુજરાતના અનુપમ મિશનને વધુ સમય આપવા માગે છે. મનોજ સોની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે. 2005માં મનોજ સોની ગુજરાતના વડોદરા એમએસ યુનિર્વસિટીના કુલપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. એ વખતે તેમની ઉંમર 40 વર્ષની હતી, જે દેશના સૌથી નાની વયના કુલપતિ હોવાનું બિરુદ મેળવ્યું હતું. એના પછી સોનીને ગુજરાતની બે યુનિવર્સિટીના કુલપતિ બનાવવામાં આવ્યા હતા.
પૂજા ખેડકરના વિવાદ વચ્ચે રાજીનામું આપ્યા હોવા છતાં મનોજ સોનીને પૂજા ખેડકર સાથે કોઈ નિસ્બત નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂજા ખેડકર આઈએએસ બન્યા પછી નિરંતર વિવાદમાં ઘેરાતી ગઈ છે. પોતાના પદનો ગેરકાયદે ઉપયોગ કરવાથી લઈને પોતાના દિવ્યાંગના પ્રમાણપત્ર તેમ જ તેની માતા પણ વિવાદમાં આવી ગઈ છે.
એટલે સુધી કે પૂજા ખેડકરની ટ્રેઈની રદ કરવામાં આવ્યા પછી પણ યુપીએસસીએ ભવિષ્યની પરીક્ષા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે તેમ જ તેના અંગે નોટિસ ફટકારી છે. પૂજા ખેડકર પર પોતાની અસલી ઓળખ છુપાવવા માટે બનાવટી ઓળખ ઊભી કરીને પરીક્ષા આપી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવું પણ કહેવાય છે કે પૂજા ખેડકરે પોતાની ઓળખ છુપાવીને નિર્ધારિત મર્યાદા કરતા વધુ વખત પરીક્ષા આપી હતી.
