આજથી PM Modi 3 રાજ્યના પ્રવાસેઃ 16મીએ પહેલી વંદે મેટ્રો ટ્રેનના શ્રીગણેશ
સોમવારે કચ્છીઓને મળશે ભુજ-અમદાવાદની સૌથી પહેલી વંદે મેટ્રો ટ્રેન
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, ઝારખંડ અને ઓડિશાની મુલાકાતે છે. પંદરથી 17મી સપ્ટેમ્બરના ત્રણ દિવસની મુલાકાત પૈકી સૌથી પહેલા ઝારખંડ પહોંચશે. આજે સૌથી પહેલા વડા પ્રધાન ઝારખંડની પહોંચશે અને સવારે 10 વાગ્યે તેઓ ટાટાનગર જંક્શન રેલવે સ્ટેશન, ઝારખંડ ખાતે ટાટાનગર-પટણા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ઉપરાંત, તેઓ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને અર્પણ કરશે. એના સિવાય, ઝારખંડનાં ટાટાનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)નાં 20,000 લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ પણ કરશે.
8,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-શિલાન્યાસ
વડા પ્રધાન 16 સપ્ટેમ્બરનાં સોમવારે સવારે 09:45 વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત વીજળી યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યાર બાદ સવારે 10:30 વાગ્યે પીએમ મોદી મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદઘાટન કરશે. ઉપરાંત, બપોરે 1:45 વાગ્યે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે લગભગ 3:30 વાગ્યે અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદમાં ધામા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. વડા પ્રધાન મોદી ગુજરાતના અન્ય રોડ પ્રોજેક્ટનું શિલારોપણ કરશે, જેમાં સામખિયાળી– ગાંધીધામ અને ગાંધીધામ – આદિપુર રેલવે લાઇનનાં ચાર કરોડ, એએમસી, અમદાવાદમાં આઇકોનિક રોડનો વિકાસ અને બાકરોલ, હાથીજણ, રામોલ અને પાંજરપોલ જંક્શન પર ફ્લાયઓવર પુલનું નિર્માણ સામેલ છે. પીએમ મોદી 30 મેગાવોટની સોલાર સિસ્ટમનું ઉદઘાટન કરશે. તેઓ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન, કચ્છ ખાતે 35 મેગાવોટના બીઇએસએસ સોલર પીવી પ્રોજેક્ટનું તથા મોરબી અને રાજકોટમાં 220 કિલોવોલ્ટ સબસ્ટેશનનું ઉદઘાટન પણ કરશે.
પહેલી વંદે મેટ્રો ટ્રેનને ભુજથી લીલી ઝંડી આપશે
પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ હેઠળ 30,000થી વધારે મકાનોને મંજૂરી આપશે અને આ ઘરો માટે પ્રથમ હપ્તો બહાર પાડશે તેમજ પીએમએવાય યોજના હેઠળ મકાનોનું નિર્માણ શરૂ કરશે. તેઓ રાજ્યનાં લાભાર્થીઓને પીએમએવાયનાં શહેરી અને ગ્રામીણ એમ બંને વિભાગો હેઠળ પૂર્ણ થયેલા મકાનો પણ સુપરત કરશે. સોમવારે ભારતની પહેલી વંદે મેટ્રોને લીલી ઝંડી આપશે
આ ઉપરાંત તેઓ ભુજથી અમદાવાદ સુધીની ભારતની પ્રથમ વંદે મેટ્રો અને કેટલીક વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપશે, જેમાં નાગપુરથી સિકંદરાબાદ, કોલ્હાપુરથી પુણે, આગ્રા કેન્ટથી બનારસ, દુર્ગથી વિશાખાપટ્ટનમ, પૂણેથી હુબલી અને વારાણસીથી દિલ્હી સુધીની પ્રથમ 20 કોચની વંદે ભારત ટ્રેન સામેલ છે.
ઓડિશામાં સુભદ્રા યોજનાનો શુભારંભ કરશે
વડા પ્રધાન મોદી 17 સપ્ટેમ્બરનાં ઓડિશાની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરીનાં લાભાર્થીઓ સાથે વાત કરશે. ત્યાર બાદ બપોરે લગભગ 12 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વરમાં 3,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે. ભુવનેશ્વરમાં ઓડિશા સરકારની મુખ્ય યોજના ‘સુભદ્રા’નો શુભારંભ કરશે. આ સૌથી મોટી, સિંગલ મહિલા-કેન્દ્રિત યોજના છે અને તેમાં 1 કરોડથી વધારે મહિલાઓને આવરી લેવામાં આવશે એવી અપેક્ષા છે. આ યોજના હેઠળ, 21-60 વર્ષની વયના તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વર્ષ 2024-25થી 2028-29 વચ્ચે 5 વર્ષનાં ગાળામાં 50,000/- રૂપિયા મળશે. બે સમાન હપ્તામાં દર વર્ષે 10,000/- રૂપિયાની રકમ સીધી લાભાર્થીના આધાર-સક્ષમ અને ડીબીટી-સક્ષમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રસંગે પ્રધાનમંત્રી 10 લાખથી વધારે મહિલાઓનાં બેંક ખાતાઓમાં ભંડોળનાં હસ્તાંતરણની શરૂઆત કરશે.