પીએમ મોદીએ ગાંધીનગરમાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું કર્યું લોકાર્પણ
આજે મોદી ગુજરાતમાં ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

ગાંધીનગર: માર્ચ મહિનામાં બીજી વખત પોતાના ગૃહ રાજ્યની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાટનગર કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું. મહાવીર જંયતીના દિવસે લોકાર્પણ કરાયેલું મ્યુઝિયમ સાત વિભાગમાં વહેંચાયેલું છે, જ્યાં 2,000થી વધુ દુર્લભ જૈન કલાકૃતિઓ, હસ્તપ્રતો અને પ્રાચીન સિક્કાઓ પણ પ્રદર્શિત કરાયા છે. ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ આ મ્યુઝિયમ જૈન ઈતિહાસ અને અહિંસાના વારસાને દુનિયા સમક્ષ રજૂ કરે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સંગ્રહાલયનું નામ સમ્રાટ અશોકના પૌત્ર અને જૈન ધર્મના મહાન પ્રચારક સંપ્રતિના નામ પરથી રાખ્યું છે. જૈન ધર્મનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ, પુરાતત્વીય ચીજવસ્તુઓ અને આધ્યાત્મિક વારસાનું અદૂભૂત પ્રદર્શન કરવામાં આવ્યું છે, જ્યારે અહીંના મુલાકાતીઓને પ્રાચીન ભારતની સભ્યતાના દર્શન કરાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ ₹891 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે વડા પ્રધાન એક નવી ટ્રેનને પણ લીલી ઝંડી આપશે.
વડા પ્રધાન ગુજરાતમાં વાવ-થરાદ ખાતેથી આ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. ઉપરાંત, પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ GIDCમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે, આ સુવિધા પર કોર્મશિયલ પ્રોડક્શન શરૂ થશે, જે ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.
સંગ્રહાલય સદીઓ જૂના દુર્લભ અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસા સંગ્રહને સાચવે છે અને પ્રદર્શિત કરે છે. આમાં જટિલ રીતે બનાવેલા પથ્થર અને ધાતુના શિલ્પો, વિશાળ મંદિર પ્લેટો અને યંત્ર પ્લેટો, લઘુચિત્ર, ચાંદીના રથ, સિક્કા અને પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે; આ બધા સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત થાય છે. વિશાળ રૂમમાં રાખવામાં આવેલ અને બે હજારથી વધુ દુર્લભ ખજાનો ધરાવતું, સંગ્રહાલય મુલાકાતીઓને જૈન ધર્મના ઉત્ક્રાંતિ અને તેના ઊંડા સાંસ્કૃતિક પ્રભાવની કાલક્રમિક સમજ મેળવવા માટે સક્ષમ બનાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગર-ખેડબ્રહ્મા સુધીની 55 કિમી નવી લાઇનનું ઉદ્ઘાટન કરશે, જે ₹ 482 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવી છે. તેના થકી સાબરકાંઠા જિલ્લામાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે, જે ઝડપી અને પોસાય તેવા દરે મુસાફરી સુનિશ્ચિત કરશે, તેમજ આ પ્રોજેક્ટથી અમદાવાદને ઉદયપુર સાથે સીધું જોડાણ મળશે. તેનાથી આરોગ્યસંભાળ અને શિક્ષણ જેવી આવશ્યક સેવાઓની પહોંચમાં વધારો થશે તેવો અંદાજ છે અને સાથે-સાથે સ્થાનિક સમુદાયો માટે આજીવિકાની નવી તકો પણ ઊભી થશે.
તે સિવાય ₹ 257 કરોડના ખર્ચે નિર્મિત કાનાલુસ-જામનગર ડબલિંગ પ્રોજેક્ટ (27 કિલોમીટર) અંતર્ગત વધારાની રેલવે લાઇન અને ગાંધીધામ-આદિપુર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ (11 કિલોમીટર)નું પણ વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ પરિયોજનાઓથી ટ્રેનની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે. સાથોસાથ ગુડ્સની અવરજવર વધુ કાર્યક્ષમ રીતે થશે અને દીનદયાળ પોર્ટ સહિત મહત્વના ઔદ્યોગિક કેન્દ્રો સુધી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને સ્થાનિક પ્રવાસન વિકાસમાં પણ યોગદાન આપશે.
આજે વડા પ્રધાન મોદી ખેડબ્રહ્માથી અમદાવાદ સુધીની ટ્રેનને લીલી ઝંડી આપશે, જે વાયા હિંમતનગર થઇને જશે. આ ટ્રેન શરૂ થવાથી આ વિસ્તારમાં નાગરિકો માટે મુસાફરી વધુ ઝડપી અને સુગમ બનશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે. પીએમના વિઝન અનુસાર ભારતીય રેલવેને આધુનિક અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. છેવાડા સુધી કનેક્ટિવિટી સુનિશ્વિત કરીને નાગરિકોના મુસાફરીના અનુભવને સમૃદ્ધ બનાવવાના પ્રયાસો સતત હાથ ધરવામાં આવ્યા છે. આ પહેલોથી સમાવેશી વિકાસને પ્રોત્સાહન મળશે અને ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.
