ચૂંટણી પછી જનતાને મોંઘવારીમાંથી રાહત ના મળી, જાણો શું વધ્યું?
જીવનાવાશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારાથી આમ આદમી પરેશાન
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પછી આમ આદમી જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવ વધારાથી પરેશાન છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં નવી સ્થિર સરકાર બન્યા પછી આમ જનતાને મોંઘવારીના પક્ષે રાહતનો અવકાશ નથી. આમ જનતાની થાળીમાંથી દાળ-શાકભાજી ગાયબ થઈ રહ્યા છે હવે એની સાથે દૂધ-દહીંના ભાવમાં વધારાથી ફટકો પડ્યો છે. શાકભાજીમાં કાંદા, બટેટા સહિત ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. તેલ-દાળના ભાવમાં વધારા સાથે ઘઉં-લોટના ભાવ મોંઘા થવાથી જનતા પરેશાન છે.
જૂન મહિનામાં ગરમી સાથે સાથે વધતી મોંઘવારી લોકો પરેશાન કરી નાખ્યા છે. ફુગાવાના આંકડાએ સરકારની પોલ ખોલી નાખી છે. મે મહિનામાં હોલસેલ ફુગાવાનો દર વધીને 15 મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. મે મહિનામાં હોલસેલ ઈન્ફ્લેશનનો રેટ 2.61 ટકા પહોંચ્યો છે. એપ્રિલ મહિનામાં ફક્ત 1.61 ટકા હતો, પરંતુ મે મહિનામાં એનો આંકડો 2.61 ટકાએ રહ્યો છે.
સરકારી આંકડા અનુસાર મે મહિના દરમિયાન ખાણીપીણીના ભાવ 10 મહિનાના 9.82 ટકાના ઊંચા મથાળે રહ્યા છે. દાળ હો યા શાકભાજી, ફળ હોય કે તેલના ભાવમાં વધારો થયા કરે છે. જૂન મહિનામાં એક બાજુ ગરમી અને બીજી બાજુ મોંઘવારીથી રાહત મળવાની શક્યતા નથી, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
જૂન મહિનામાં ગરમી વચ્ચે તેલ, દૂધ, શાકભાજી, કાંદા અને બટેટાના ભાવમાં વધારો થયો છે. દૂધ ઉત્પાદક વસ્તુઓમાં તમામ ડેરી પ્રોડ્ક્ટમાં દૂધ, દહીં, પનીરના ભાવ વધ્યા છે. તેલના ભાવમાં વધારાને કારણે ખાણીપીણીના ભાવ વધ્યા છે. ઉપરાંત, કાંદાના ભાવ એક અઠવાડિયામાં પચાસ ટકાનો વધારો થયો છે, જ્યારે બટેટાના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.
શાકભાજીના ભાવમાં આ કારણે પડ્યો ફટકો
આમ આદમીના ખિસ્સા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. એના માટે ભયંકર ગરમીને કારણે ખેતરોમાં શાકભાજી સૂકાઈ અને સડી જવાનું કારણભૂત હતું. શાકભાજીના પાંદડા પણ ગરમીના કારણે બળી જવાનું પ્રમાણ વિશેષ રહ્યું હતું. લીલા શાકભાજીને સૌથી વધુ ફટકો પડ્યો હતો. કોલ્ડ સ્ટોરેજમાં પણ શાકભાજીને રાખવાની જગ્યા નથી. ગરમીને કારણે શાકભાજી સૌથી વધુ ખરાબ થવાનું કારણ હતું, તેથી ડિમાન્ડની તુલનામાં પુરવઠો ઘટી જવાને કારણે ભાવમાં તોસ્તાન વધારો થયો હતો.
