ઘીના ઠામમાં ઘીઃ ફરી ઓમ બિરલા બન્યા સ્પીકર, કે. સુરેશ હાર્યા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી નવી સરકારના ગઠન પછી ત્રીજી વખત પીએમ તરીકે નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યા પછી આજે સ્પીકર તરીકે ઓમ બિરલાને ચૂંટી કાઢવામાં આવ્યા હતા. સ્પીકરની ચૂંટણીમાં ઈન્ડિ ગઠબંધનના કે. સુરેશ હાર્યા અને નવા સ્પીકરપદે ઓમ બિરલાને સર્વમતે ચૂંટી કાઢ્યા. આ મુદ્દે ગઈકાલે એનડીએ અને ઈન્ડિ ગઠબંધનની બેઠક મળી હતી. આમ છતાં આ બેઠક નિષ્ફળ રહી હતી. એના પછી કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે કે. સુરેશની જાહેરાત કરી હતી અને વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની પણ જાહેરાત કરી હતી.
18મી લોકસભાના સ્પીકરની ચૂંટણી સાથે ડેપ્યુટી સ્પીકર માટે વિપક્ષે પોતાની દાવેદારી નોંધાવી હતી. ગૃહમાં બંને મહાગઠબંધનો વચ્ચે સંમતિ સાધવામાં આવી નહોતી. આરોપ-પ્રત્યારોપની વચ્ચે આજે એનડીએ વતી ઓમ બિરલાનું સ્પીકર તરીકે નામ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવને એનડીએના સાંસદોએ સમર્થન આપ્યું હતું. સતત બીજી વખત લોકસભામાં ઓમ બિરલા સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે. બિરલા ધ્વનિમતથી સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે.
કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા ફરી એક વાર અધ્યક્ષપદે ચૂંટી કાઢવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને અભિનંદન આપતા કહ્યું હતું કે સમગ્ર સંસદને અભિનંદન આપું છું. આગામી પાંચ વર્ષમાં તમે લોકો અમને માર્ગદર્શન આપશો. તમારી ખુશી સદનને ખુશ રાખે છે. અઢારમી લોકસભામાં સ્પીકર પદે ઓમ બિરલા કમાન સંભાળશે એ પણ મોટા રેકોર્ડ સમાન છે. બીજી બાજુ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન દ્વારા કેરળના કે. સુરેશના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
ઓમ બિરલાના પ્રસ્તાવના નામ પર જનતા દળ (યુનાઈટેડ)ના લલન સિંહ, અનુપ્રિયા પટેલ, ચિરાગ પાસવાન સહિત એનડીએના સહયોગી પક્ષોએ સમર્થન આપ્યું હતું. એના સિવાય ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના તમામ સાંસદોએ પણ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. ઓમ બિરલાની વરણી કરવામાં આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સંસદીય બાબતના પ્રધાન કિરેન રિજ્જુની સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આવ્યા હતા. અહીં એ જણાવવાનું કે ગઈકાલે જ કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે વરિષ્ઠ નેતા તરીકે રાહુલ ગાંધીના નામની જાહેરાત કરી હતી.