Good News: બદલાપુરથી નવીમુંબઈ પહોંચી શકાશે 10થી 15 મિનિટમાં…
મુંબઈઃ બદલાપુરથી નવી મુંબઈ વચ્ચેનો મુશ્કેલ પ્રવાસ હવે નજીકના સમયમાં સરળ બનશે. થાણે જિલ્લો અને નવી મુંબઈ એમ બંને શહેરો જોડવામાં આવશે. વડોદરા-મુંબઈ હાઈવે પર બદલાપુર-પનવેલને જોડનારી બીજી ટનલનું કામ પૂરું થવા આવ્યું છે. પનવેલના શિરવલી ખાતે આ ટનલ બનાવવામાં આવી છે. માથેરાનની તળેટીમાં આવેલા શિરવલી ગામથી આ ટનલ શરૂ થઈને અંબરનાથ નજીક આવેલા ભોજ ગામ સુધી પહોંચે છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ પૂરો થવાથી સમૃદ્ધિ કોરિડોર અને દિલ્હી-બરોડા હાઈ-વેને કનેક્ટિવિટી મળશે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
4.36 કિલોમીટરની ટવિન ટનલ બનાવાશે
બદલાપુરથી પનવેલ એમ 4.36 કિલોમીટરની આ ટ્વીન ટનલ છે. રસપ્રદ વાત તો એ છે કે આ ટનલ માથેરાનના ડુંગરમાંથી ખોદવામાં આવશે જેને કારણે બદલાપુર અને નવી મુંબઈ બંને વચ્ચેનું અંતર ઘટી જશે. ટનલમાં આઠ લેન હશે. 13 મીટરની ઉંચાઈ અને 23 મીટરની પહોળાઈવાળી આ ટનલનું કામ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને જુલાઈ, 2025 સુધી આ કામ પૂરું થઈ જશે.
પ્રોજેક્ટનું 60 ટકા કામ પૂર્ણ
મળી રહેલી માહિતી અનુસાર એક ટનલનું કામ ઓગસ્ટ મહિનામાં પૂરું કરવામાં આવ્યું હતું, જ્યારે બીજી ટનલનું કામ 18 મહિનાના વિક્રમી સમયગાળામાં બીજી તબક્કાનું કામ પૂરું કરવામાં આવ્યું છે. ટનલના 60 ટકા જેટલા કામ પૂરા થઈ ગયા છે. એક વખત આ રસ્તાનું કામકાજ પૂરું થાય એટલે બદલાપુરથી પનવેલ 10થી 15 મિનિટમાં પહોંચી શકાશે. આ માટે 1400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હાલના તબક્કે બદલાપુરથી નવી મુંબઈ પહોંચવામાં 40થી પચાસ મિનિટનો સમય લાગે છે, પરંતુ પ્રોજેક્ટ પૂરો થયા પછી ઝડપથી પહોંચી શકાશે.
અંબરનાથ તાલુકામાંથી પસાર થશે
મુંબઈ-વડોદરા-જેએનરપીટી બંદરને જોડનારો પ્રસ્તાવિક હાઈવે થાણે જિલ્લાના અંબરનાથ તાલુકામાંથી પસાર થશે. આ હાઈવેને કારણે ભવિષ્યમાં બદલાપુર વડોદરા અને જેએનપીટી સાથે કનેક્ટિવિટી મળશે, એટલે જ આ પ્રકલ્પની ગણતરી મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ ગણાય છે. અટલ સેતુને કારણે મુંબઈથી બદલાપુર વચ્ચેનો પ્રવાસ 30થી 40 મિનિટમાં પૂરો થશે. જેએનપીટી બંદરથી અવરજવર કરનારા વાહનો બદલાપુર માર્ગે સમૃદ્ધિ મહામાર્ગ અને દિલ્હી-વડોદરા માર્ગને કનેક્ટિવિટી મળશે.