નાશિક સિંહસ્થ કુંભ મેળો: મહત્વપૂર્ણ તારીખો, તિથિ અને સ્નાન વિશેષ
પ્રયાગરાજમાં સૌથી મોટા મહાકુંભનું આયોજન સંપન્ન થયા પછી હવે નાશિકમાં આયોજન કરવામાં આવશે. મહારાષ્ટ્રના નાશિકમાં આયોજિત સિંહસ્થ કુંભ મેળાની તારીખની પણ જાહેરાત કરી છે. 31 ઓક્ટોબર 2026ના ધ્વાજારોહણ પછી આરંભ થશે અને 20 ફેબ્રુઆરી, 2028ના સંપન્ન થશે. શ્રી ગંગા ગોદાવરી પ્રસન્નના જયઘોષ સાથે સિંહસ્થ પુણ્યકાલનો આરંભ થયો છે. પવિત્ર સિંહસ્થ મહાપર્વની સત્તાવાર શરુઆત 31 ઓક્ટોબર, 2026 શનિવારે બપોરે 12.02 વાગ્યે રામકુંડ, પંચવટી સ્થિત સાધુગ્રામમાં ધ્વજારોહણ સાથે થશે. અહીં નગર પ્રદક્ષિણા સાથે આયોજન કરવામાં આવશે.
ધાર્મિક તિથિ અને પર્વસ્નાનની વાત કરીએ તો નાશિકમાં આયોજિત સિંહસ્થ કુંભમેળામાં વિવિધ તિથિ પ્રમાણે સ્નાન કરવાનું મહત્ત્વ રહેશે. અષાઢ કૃષ્ણ પંચમી એટલે 24 જુલાઈ 2027ના સૌથી પહેલા અખાડાઓ દ્વારા ધ્વાજારોહણ કરવામાં આવશે, જ્યારે પહેલું અમૃત સ્નાન અષાઢ કૃષ્ણ એકાદશીના ગુરુવારના 29 જુલાઈ 2027ના થશે. બીજું અને ત્રીજું અમૃત સ્નાન અનુક્રમે સોમવતી અમાવસ્યાના બીજી ઓગસ્ટ 2027ના સોમવાર અને એના પછીની તિથિના જાહેરાત કરાશે.
અન્ય મુખ્ય સ્નાનમાં પાંચમી સપ્ટેમ્બર 2027ના ઋષિ પંચમી, ભાદરવા મહિનાની એકદાશીના (11 સપ્ટેમ્બર 2027), ભાદરવી પૂર્ણિમા (પંદર સપ્ટેમ્બર, 2027), અગિયાર અને 14 સપ્ટેમ્બર (કાર્તિક એકદાશી અને પૂર્ણિમા), ગંગા દશેરા ઉત્સવ (25મી મેથી બીજી જૂન 2028), 27 ફેબ્રુઆરી 2028 મહાશિવરાત્રિ, વસંત પંચમી (પહેલી ફેબ્રુઆરી 2028), મૌની અમાવસ્યા (26 ફેબ્રુઆરી, 2028) તેમ જ ગંગા-ગોદાવરી મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
સિંહસ્થ મહાકુંભનું આયોજન સતિશ શંકર શુક્લ (પ્રમુખ), ગંગા ગોદાવરી પંચકોઠી પુરોહિત સંઘ નાશિક દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહંત ભક્તિચરણ દાસ, પ્રવક્તા, અખિલ ભારતીય અખાડા પરિષદે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે શાસ્ત્રો પ્રમાણે પુણ્યકાળમાં સ્નાન કરીને લાભ મેળવો. નાશિક કુંભની તૈયારીઓને લઈ ગિરિ મહારાજે સંતોષ વ્યક્ત કરીને કહ્યું છે કે અમે સરકાર અને પ્રશાસનની સાથે છીએ. ગોદાવરી નદીમાં નાળા અને ગટરનું પાણી છોડવામાં આવશે નહીં. સાથે કુશાવર્ત તીર્થ ખાતેના બ્રાહ્મણોના ઘર તોડવામાં આવે નહીં તેમ જ ત્ર્યંબકેશ્વર હાઈવેને પણ જોડવાનું કામ કરવામાં આવે. અહીં એ જણાવવાનું કે સિંહસ્થ કુંભમેળાનું આયોજન દર 12 વર્ષે કરવામાં આવે છે, જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન, તપ અને સાધના માટે આવે છે.
હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે ભારતમાં નાશિક (ત્ર્યંબકેશ્વર) સિવાય અલાહાબાદ (પ્રયાગરાજ), ઉજૈન (અવંતિકા) અને હરિદ્વાર એમ ચાર તીર્ સ્થળે દર 12 વરસે કુંભ મેળો ભરાય છે. સામાન્ય રીતે આ કુંભ મેળો જુલાઇથી સપ્ટેમ્બર મહિના સુધી એમ ત્રણ મહિના સુધી ચાલે છે. તીર્થ સ્થળના મુખ્ય મંદિર પર ધ્વજા ચઢાવી આ મહાપર્વની શરૂઆત થાય છે. રાશિ પ્રમાણે વાત કરીએ તો ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે કુંભ ઉત્સવ ગોદાવરીના કિનારે નાશિકમાં થાય છે. નવા ચંદ્રના દિવસે જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ગોદાવરીના કિનારે કુંભ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.