June 30, 2025
નેશનલ

વક્ફ સંશોધિત બિલને મુસ્લિમ રાષ્ટ્રીય મંચે વધાવ્યું, આજે વક્ફ માફિયાથી મુક્તિ મળી

Spread the love

વક્ફ બિલના વિરોધમાં મુસ્લિમ લો બોર્ડે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગ્યો

નવી દિલ્હીઃ સંસદના બંને ગૃહમાં વક્ફ સંશોધન બિલને પસાર કરવામાં આવ્યા પછી દેશમાં બેવડી પ્રતિક્રિયાઓ મળી રહી છે, જ્યાં દેશના અનેક શહેરોમાં મુસ્લિમ સમાજ તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ એક વર્ગના સમુદાયના લોકોએ ખુશી પણ વ્યક્ત કરી હતી. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ)એ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજ્જુ, જેપીસી ચેરમેન જગદમ્બિકા પાલ વગેરે પ્રયાસને અભિનંદન આપ્યા છે, જ્યારે બીજી વક્ફ સંશોધિત બિલના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કાયદો બન્યા પૂર્વે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગ્યો છે.

જરુરિયાતમંદ લોકોના અધિકારોનો રક્ષણ કરનાર ખરડો છે
મંચના રાષ્ટ્રીય સંયોજક અને રાષ્ટ્રીય મીડિયા પ્રભારી શાહિદ સઈદે મુસ્લિમ સમાજને અપીલ કરતા કહ્યું છે કે આ ઐતિહાસિક ક્ષણને હર્ષ ઉલ્લાસથી મનાવે. આ કાયદો કોઈ ધર્મ યા સમુદાયના વિરોધી નથી, પરંતુ પારદર્શકતા, ન્યાય અને વિકાસનો પ્રતીક છે. આ અનાથ, વિધવા, ગરીબ અને જરુરિયાતમંદ લોકોના અધિકારોના રક્ષણ કરનારા છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચે દેશવાસીઓને અપીલ કરી છે કે દેશને તોડનારા, લડાવનારા, ભડકાવનારા વિકૃત માનસિકતાવાળા લોકોથી સાવધ રહો. ભારતને અંગ્રેજોથી 1947થી આઝાદી મળી હતી, પરંતુ વક્ફ માફિયા અને જમીનના જેહાદીઓ પાસેથી આજે આઝાદી મળી છે.

ગામ-ગામ જઈને કરવામાં આવશે જનજાગૃતિ કાર્યક્રમો
મુસ્લિમ રાષ્ટ્રીય મંચે જણાવ્યું છે કે આ બિલના સમર્થનમાં મંચના હજારો કાર્યકર્તાઓ દેશના ખૂણે ખૂણે જઈને 5,000થી વધુ જનસભા, સંવાદયાત્રા, લેખ અભિયાન અને ટીવી ડિબેટનું આયોજન કરવામાં આવશે, જેનાથી સમાજના લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સેંકડો વિશેષ કાર્યક્રમો કરીને વક્ફની સંપત્તિઓમાં ચાલી રહેલા કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવશે. વક્ફની આવક અને સંપત્તિમાંથી વક્ફ બોર્ડ હોસ્પિટલ, યુનિવર્સિટી, સ્કૂલ, નર્સિંગ હોમ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર વગેરે ખોલવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને મળવા માટે સમય માગ્યો
વક્ફ બિલને સંસદના બંને ગૃહએ બહુમતીથી મંજૂરી મળ્યા પછી તેની વિરોધમાં વિપક્ષના નેતાઓ એક થઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની જાહેરાત કરી છે, જ્યારે બીજી બાજુ રાષ્ટ્રપતિ પાસે આ ખરડા પર હસ્તાક્ષર કરવાની રાહ જોવામાં આવી રહી છે. જોકે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે સમય માગ્યો છે. બીજી બાજુ અમદાવાદ, કોલકોતા, હૈદરાબાદ, બેંગલુરુ સહિત અન્ય શહેરમાં વક્ફ સંશોધિત બિલના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!