મુંબઈની લાઈફલાઈન થંભી ગઈ: મુંબઈગરા પાસે શું છે વિકલ્પો?
મુંબઈ: મધ્ય રેલવે આજથી જ હાથ ધરાનાર 63 કલાકના મેગા બ્લોકની શરૂઆત થઈ ગઈ છે. આ મેગા બ્લોકનો બીજો તબક્કો આવતીકાલે એટલે કે શુક્રવારે મધરાતે 12.30 કલાકે સીએસએમટી ખાતે શરૂ થશે. સીએસએમટી ખાતે પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું, યાર્ડનું તેમ જ સ્ટેશનનું મેઇન્ટેનન્સ વર્ક હાથ ધરાવવાનું હોઈ 36 કલાકનો બ્લોક લેવામાં આવશે.
બ્લોકના સમયમાં પ્રવાસીઓને હાલાકી ના ભોગવવી પડે એ માટે બેસ્ટ અને એસટી મહામંડળ દ્વારા વધારાની બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ જ આરટીઓ દ્વારા પણ આ સમયે મનમાની કરતાં રિક્ષા તેમ જ ટેક્સીચાલકો પર વોચ રાખીને કાર્યવાહી કરવાની તૈયારી રાખવામાં આવી છે.

મળી રહેલી માહિતી પ્રમાણે આ સમયે એસટી દ્વારા 50 વધુ બસ તેમ જ બેસ્ટ દ્વારા 55 બસની 486 સર્વિસ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. સીએસએમટી અને થાણેમાં હાથ ધરવામાં આવેલા આ બ્લોકને કારણે ત્રણ દિવસમાં 953 ટ્રેન તેમ જ 72 જેટલી મેલ એકસપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે, જેને કારણે પ્રવાસીઓને તકલીફ વેઠવાનો વારો આવશે.
આ માટે એસટી દ્વારા કુર્લા નહેરૂ નગર, પરેલ અને દાદરથી થાણે માટે 50 વધારાની બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં મુંબઈ ડેપોની 26 અને થાણે ડેપોની 24 બસ મળીને 50 બસની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં લઈને આ સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત બેસ્ટ દ્વારા પણ કોલાબા, વડાલા, ભાયખલા સ્ટેશન અને દાદરથી 55 બસની 485 વધુ સર્વિસ દોડાવવામાં આવશે. આ ઉપરાંત આવા મુશ્કેલીના સમયે રિક્ષા અને ટેક્સીચાલકો દ્વારા મનમાની કરીને મનફાવે તેમ ભાડું વસૂલીને લૂંટ ચલાવવામાં આવે છે.
મુંબઈગરાને તેમના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે આરટીઓ પણ સજજ છે. ભાડું નકારવા કે વધારે ભાડું વસૂલીને પ્રવાસીઓને લૂંટનારા રિક્ષા અને ટેક્સીચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આરટીઓ અલગ અલગ જગ્યા પર સ્પેશિયલ ટીમ તહેનાત કરવામાં આવશે, જે આવા ચાલકો પર વોચ રાખશે.
