મુંબઈથી મહાકુંભઃ ફ્લાઈટ, ટ્રેનની ટિકિટ નહીં મળતા યુવાન સ્કૂટર લઈ નીકળ્યો મહાકુંભ જવા…
મુંબઈઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં બે અમૃતસ્નાન પછી ત્રીજું અમૃતસ્નાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં લાખો નહીં, કરોડો શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે, જ્યારે હજુ પણ રોજના લાખો શ્રદ્ધાળુ પહોંચી રહ્યા છે. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન, બસ-લકઝરી અને ફ્લાઈટ પણ ફુલ હોવા છતાં લોકોના ધસારો ઘટતો નથી, પરંતુ રોજેરોજ વધતો જાય છે ત્યારે મુંબઈના એક યુવકે પ્રયાગરાજ પહોંચવાનો રસ્તો શોધી લીધો. બસ-ટ્રેન યા ફ્લાઈટની ટિકિટ નહીં મળતા સાહસિક યુવાન સ્કૂટર લઈને નીકળી પડ્યો હતો.
ઘરે કોઈને જણાવ્યા વિના નીકળ્યો ગૌરવ
144 વર્ષ પછી મહાકુંભનો સંયોગ યોજાયો છે ત્યારે દેશના જ વિદેશના ભક્તો પણ મહાકુંભમાં ભાગ લેવા પહોંચ્યા છે. ગૌરવ સૂર્યકાંત રાણે પણ આ કરોડો લોકો પૈકીનો એક શ્રદ્ધાળુ છે. કમનસીબે ટ્રેન યા ફ્લાઈટની ટિકિટ મળી નહીં, પરંતુ હિમંત હાયો નહીં અને સ્કૂટર લઈને પ્રયાગરાજ જવા નીકળ્યો છે એ પણ કોઈને કહ્યા વિના. રાણેએ સ્કૂટર પર સાઈનબોર્ડ લગાવ્યું છે ‘મુંબઈ ટૂ મહાકુંભ’
26મી જાન્યુઆરીના એકલપંડે નીકળ્યો ગૌરવ
પોતાનું સપનું સાકાર કરવા માટે મુંબઈના ગૌરવે એક રસ્તો શોધી કાઢ્યો અને ટૂ-વ્હિલર લઈને પ્રયાગરાજ જવાનો નિર્ણય લીધો હતો. 26મી જાન્યુઆરીના પોતાની આધ્યાત્મિક યાત્રાએ નીકળ્યો છે. એ પણ એક બેગ પેક કરીને ગૂગલબાબાના સહારે ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી પડ્યો છે. આ બાબતના સમાચાર હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.
1,500 કિલોમીટરનું અંતર કાપ્યા પછી સ્નાન માટે ઉત્સાહી
મુંબઈથી મહાકુંભ માટે નીકળેલા ગૌરવ વસંતપંચમીના દિવસે પ્રયાગરાજ પહોંચવાનું આયોજન હોવાનું કહેવાય છે. મહાકુંભમાં પહોંચવા માટે રાણે રસ્તાની વચ્ચેના ધાર્મિકસ્થળોએ પણ દર્શનનો લાભ લીધો હતો. મુંબઈથી પ્રયાગરાજ જવા માટે રાણેએ ઓમકારેશ્વર, કાલ ભૈરવ મહારાજ, ઝાંસી, મમલેશ્વર, ત્ર્યમંબકેશ્વર, ઉજ્જૈન મહાકાલ, ઓરછા ગાંવ અને ચિત્રકૂટનો સમાવેશ કર્યો હતો. દિવસના ડ્રાઈવ કરીને રાતના આરામ કરવાનો નિર્ણય કરીને ગૌરવે 1,500 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને હવે પ્રયાગરાજ સ્નાન કરવા માટે ઉત્સાહ ધરાવે છે.