ફેબ્રુઆરીમાં સંપૂર્ણ Samruddhi Corridor શરુ થશે, નાગપુર 8 કલાકમાં પહોંચાશે
નાગપુરઃ મહારાષ્ટ્રના બંને પાટનગરને ડાયરેક્ટ રોડ કનેક્ટિવિટીનો માર્ગ હવે મોકળો બન્યો છે. મુંબઈ અને નાગપુર એક્સપ્રેસવે (Nagpur-Wardha-Amravati-Washim-Buldhana-Jalna-Aurangabad-Nashik-Ahmednagar-Thane)ને આંશિક રીતે બે વખત ખોલવામાં આવ્યો છે, જ્યારે બાકી અંતિમ કોરિડોરનું કામકાજ પૂરું થયું છે અને હવે એનું ઉદ્ધાટન આગામી ફેબ્રુઆરી મહિના દરમિયાન કરવાની સંભાવના છે.
16 કલાકને બદલે આઠ કલાકમાં પહોંચાશે
મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ-નાગપુરને જોડતા 701 કિલોમીટર લાંબા સમૃદ્ધિ કોરિડોરનું નિર્માણની કામગીરી પૂરી થઈ ગઈ છે અને હવે એનું ઉદ્ધાટન આગામી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે. આ એક્સપ્રેસવેને હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ કોરિડોરનું નામ આપવામાં આવ્યું છે. નાગપુરથી નાશિક ઈગતપુરી વચ્ચેનું અંતર 625 કિલોમીટરનું છે, જે એક્સપ્રેસ વે પહેલાથી ચાલુ છે. હવે સંપૂર્ણ કોરિડોર ચાલુ થવાથી મુંબઈથી નાગપુર જવાનું વધુ સુલભ બની શકે છે. બંને શહેર વચ્ચેનો ટ્રાવેલ ટાઈમ 16 કલાકથી ઘટીને આઠ કલાક થશે.
પ્રોજેક્ટથી સામાજિક-આર્થિક વિકાસમાં પરિવર્તન થશે
મુંબઈ-નાગપુર એક્સપ્રેસવેને ડિસેમ્બર 2022 અને માર્ચ 2023માં આંશિક રુપે બે વખત ખોલ્યો હતો, જ્યારે અંતિમ તબક્કાનું કામકાજ પણ પૂરું કર્યું છે અને હવે એનું ઉદ્ધાટન આગામી મહિને કરી શકાય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રોજેક્ટ માટે અનિલ કુમાર બલિરામ ગાયકવાડને ચીફ એન્જિનિયર તરીકે વરણી કરવામાં આવી હતી, જે હાલમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. કહેવાય છે આ પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ શરુ થવાથી મહારાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિકાસમાં મોટું પરિવર્તન આવી શકે છે.
દિલ્હીથી મુંબઈ પણ 12 કલાકમાં પહોંચાશે
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ-વેનું નિર્માણ કાર્ય પણ લગભગ પૂરું થશે, જે વાહનચાલકો માટે પણ ટૂંક સમયમાં ખોલવામાં આવશે. એની સાથે સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પણ ટૂંક સમયમાં ખોલવામાં આવશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેને વાહનચાલકો માટે ખોલવામાં આવ્યા પછી કૂલ ટ્રાવેલ ટાઈમ 12 કલાક લાગી શકે છે. આ અગાઉ 36 કલાકનો સમય લાગતો હતો. પાટનગરમાં શિવમૂર્તિથી નેલ્સન મંડેલા રોડ સુધીના એક અંડરગ્રાઉન્ડ ટનલનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ સોંપ્યો હતો, જેનાથી આઈજીઆઈ એરપોર્ટથી દિલ્હી સુધીનો ટાઈમ સાતથી આઠ મિનિટનો થઈ જશે.