વેકેશનમાં Beach Vacation પર Alibubagh જવાનું વિચારી રહ્યા છો? પહેલાં આ વાંચી લો…
મુંબઈઃ અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે જો તમે પણ બાળકો અને પરિવાર સાથે બીચ વેકેશન પર અલીબાગ જવા માંગો છો તો આ સમાચાર તમારા માટે જ છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી માંડવા જતી ફેરી સર્વિસ (Mumbai To Alibaug Ferry Service) આગામી ત્રણ મહિના માટે બંધ રહેશે.
મેરીટાઇમ બોર્ડ દ્વારા આ બાબતે માહિતી આપતું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. દરમિયાન ભાઉ ચા ધક્કાથી માંડવા સુધી દોડાવવામાં આવતી રો-રો બોટ પોતાના નિયમીત સમય પર જ દોડશે, એવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.
મેરીટાઇમ બોર્ડ દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 26 મેથી ત્રણ મહિના માટે મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી માંડવા જતી ફેરી સર્વિસ (Mumbai To Alibaug Ferry Service) બંધ રાખવામાં આવશે. બોર્ડ દ્વારા આ નિર્ણય ચોમાસા (Monsoon)ને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે દર વર્ષે આ રૂટ પરથી આશરે 12 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે.ચોમાસાના દિવસોમાં દરિયો તોફાની હોય છે અને એવા સમયે દરિયામાં ફેરી સર્વિસ ચલાવવામાં આવશે તો પ્રવાસીઓના જીવ સામે જોખમ ઊભું થવાની શક્યતા રહેલી છે. આ જ કારણસર દર વર્ષે મેરીટાઈમ બોર્ડ દ્વારા ચોમાસાના ત્રણ મહિના માટે મુંબઈથી અલિબાગ વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવામાં આવે છે. બોર્ડની આ જાહેરાતને પગલે હવે આગામી કેટલાક મહિનાઓ સુધી પ્રવાસીઓએ મુંબઈથી અલિબાગ સુધીનો પ્રવાસ બાય રોડ જ કરવો પડશે.
મુંબઈ-અલિબાગ વચ્ચે અપ-ડાઉન કરનારા લોકો સિવાય વેકેશનમાં વન-ડે પિકનિક કે વેકેશન માટે અલિબાગ જનારાઓની પહેલી પસંદ છે આ ફેરી સર્વિસ. આ ફેરી સર્વિસની મદદથી લોકો પૈસાની બચતની સાથે સાથે જ મુંબઈ અને માંડવા અને અલિબાગનો પ્રવાસ પૂરો કરે છે.