જમ્મુ કાશ્મીરમાં 1400થી વધુ મંદિર પર અતિક્રમણ, કાશ્મીરી પંડિતોએ કરી માગ
શ્રીનગરઃ હાલ દેશમાં વક્ફ સંશોધિત બિલનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે કાશ્મીરી પંડિતોએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હિંદુ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે આ જ પ્રકારના બિલની માગણી કરી છે. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિએ કહ્યું છે કે જો તેમની માગ સ્વીકારવામાં આવશે નહીં તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે. કાશ્મીર પંડિત સંઘર્ષ સમિતિના જણાવ્યાનુસાર કાશ્મીર ખીણમાં 1400થી વધુ મંદિરોની સંપત્તિઓ કરોડો રુપિયાની છે, જેના પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. આ મુદ્દે કેપીએસએસનું કહેવું છે કે જો સરકાર અને રાજકારણીઓનું સમર્થન મળ્યું નહીં તો શક્ય બન્યું નહોત.
કેપીએસએસના પ્રમુખ સંજય ટિકુએ કહ્યું હતું કે લગભગ 1400 સંપત્તિઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. સરકાર જ્યાં સુધી તેમાં દરમિયાનગીરી કરશે નહીં ત્યાં સુધી તેને પાછું મેળવવાનું મુશ્કેલ રહેશે. કેપીએસએસનો નવો નારો આપ્યો છે કે સનાતન અને વક્ફ બોર્ડ બંને સાથે મળીને કામ કરવું જોઈએ. જો એમ થશે તો સમુદાયના લોકોની વચ્ચે ભાઈચારો વધશે. સરકાર અમારી માગ સ્વીકારશે નહીં તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. બે મહિનામાં સરકાર શું કરે છે નહીં તો અમે જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટમાં જઈશું. ફક્ત મંદિર જ નહીં, પણ રોજગાર અને માનવ અધિકારોનું પણ ઉલ્લંઘન થયું છે.
કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (કેપીએસએસ)એ પણ કહ્યું છે કે આ બાબત નૈતિક રીત ટીકાપાત્ર છે અને કાયદાકીય રીતે અક્ષમ્ય છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 35 વર્ષમાં ક્યારેય અતિક્રમણ મંદિર, અપવિત્ર ધાર્મિક સ્થળો યા હજારો કનાલ હિંદુ ભૂમિ પરના ગેરકાયદે અતિક્રમણ મુદ્દે એક શબ્દ બોલવામાં આવ્યા નથી. દરમિયાન ભાજપના નેતાએ કહ્યું હતું કે કાશ્મીર પંડિત સંઘર્ષ સમિતિની માગનું સમર્થન આપતા કહ્યું છે કે કાશ્મીર પંડિતોને ધાર્મિક સ્થળો-સંપત્તિની સુરક્ષા માટે અવાજ ઉઠાવવાનો પૂરો અધિકાર છે અને સરકારે પણ મંદિરની સુરક્ષા માટે પગલાં ભરવા જોઈએ.