મિશન 2027: ગુજરાત કોંગ્રેસમાં ‘નવાજૂની’ના એંધાણ, રાહુલ ગાંધીએ નેતાઓને આપી ચેતવણી
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા ત્યારે કોંગ્રેસના નેતાઓએ જોરદાર સ્વાગત કર્યું હતું, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે રાહુલ ગાંધી પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને જ ચેતવણી આપી હતી.
અમુક નેતાઓ-કાર્યકર્તાઓને કાઢી મૂકવાની તૈયારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હજુ અઢી વર્ષનો સમય બાકી છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ કરી છે. શનિવારે ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધી પહોંચ્યા પછી વિપક્ષ પર પ્રહાર કરવાને બદલે પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પર ભડકી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસમાં બબ્બર શેર છે પણ બધાના ગળામાં ચેન બાંધેલી છે. ગુજરાતમાં બે પ્રકારના કાર્યકર્તાઓ છે. અમુક કાર્યકર્તાને તો બેવડા ધોરણ છે, તેથી અમુક લોકોને કાઢવાની નોબત આવી તો કાઢી નાખો.
વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી
રાહુલ ગાંધીના નિવેદનના એક કરતા અનેક તારણ કાઢવામાં આવી રહ્યા છે, જેમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીની સાથે પાર્ટીમાં ડરેલા, નબળા યા ડબલ સ્ટાન્ડર્ડવાળા નેતાઓ પર આગામી દિવસોમાં તવાઈ આવશે. નબળું પ્રદર્શન કરનારા નેતા-કાર્યકર્તાઓને કોંગ્રેસ ઘરભેગા કરવા માટે મકક્મ છે. 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરુપે રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે તેમણે ચૂંટણીમાં ભાજપને હરાવવાની વ્યૂહરચના તૈયાર કરવાની સાથે પાર્ટીમાં મોટા પરિવર્તન લાવવાના સંકેતો આપ્યા હતા.
ગુજરાતમાં 1995થી સત્તામાં છે ભારતીય જનતા પાર્ટી
ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ કહ્યું કે હું ગુજરાતના યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને મારી બહેનો માટે આવ્યો છું. અહીં છેલ્લા 30 વર્ષથી અમારી સરકાર નથી, જ્યાં સુધી અમે અમારી જવાબદારીને પૂરી કરીશું નહીં, ત્યાં સુધી ગુજરાતની જનતા અમને ચૂંટણીમાં વિજય બનાવશે નહીં. જે દિવસે અમે અમારી જવાબદારી પૂરી કરીશું ત્યારે ગુજરાતના તમામ લોકો કોંગ્રેસ પાર્ટીને પોતાનું સમર્થન આપશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 1995થી સત્તામાં છે, ત્યારે ફરી સત્તામાં આવવાના અરમાન રાખનારા રાહુલ ગાંધીએ જિલ્લા, શહેર પ્રમુખની સાથે 400 તાલુકા અને નગરપાલિકાના પ્રમુખ સાથે ચર્ચા કરી હતી, ત્યાર બાદ પાર્ટીને મજબૂત કરવા માટે જરુરી ફેરફાર અંગે પણ ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધીને ગ્રાઉન્ડ રિયાલિટીથી જોજન રાખ્યા દૂર
કોંગ્રેસ પાર્ટીમાં મોટા પાયે ફેરફાર કરવાના રાહુલ ગાંધીના સંકેતો વચ્ચે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુમતાઝ પટેલે કહ્યું હતું કે કોંગ્રેસના મોટા નેતાઓ પાર્ટીના કાર્યકર્તા અને નાના નેતાઓનું ધ્યાન રાખતા નથી. તમે લોકો મારી જ વાત કરો. બે દિવસના પ્રવાસે રાહુલ ગાંધી છે, પણ મને બોલાવવામાં આવ્યા નથી. અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે કહ્યું હતું કે રાહુલ ગાંધીને ગ્રાઉન્ડ રિયાલિટી જોજનો દૂર રાખવામાં આવ્યા છે. અમુક લોકો એવા છે, જે પાર્ટીને આગળ વધવા દેતા નથી.