ચમત્કારઃ પ્લેન ક્રેશ પછી જીવતો બચ્યો પ્રવાસી, કહ્યું હું ભાગ્યો નહીં, બહાર ફેંકાયો!
અમદાવાદઃ શહેરના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશને ભારત જ નહીં, દુનિયાભરના એર ટ્રાવેલરને ચિંતામાં મૂકી દીધા. પૂરાપાટ ઝડપે ટેકઓફ કરનારું પ્લેન અચાનક ક્રેશ થયું અને એ પણ હોસ્પિટલના પરિસરમાં. જબરદસ્ત ધમાકા, આગ, ધુમાડા અને ચીસાચીસ સાથે લોકો સદ્મામા હતા. આ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ ચમત્કાર કહો કે ભગવાનના આશીર્વાદથી એક પ્રવાસીનો જીવ બચી ગયો. રમેશ વિશ્વાસ કુમાર નામના પ્રવાસીની ચર્ચા ચારેકોર છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની સાથે મુલાકાત કરી હતી.
હોસ્પિટલમાં પીએમ મોદીએ તેની ખબર પૂછી ત્યારે તેને કહ્યું કે પ્લેને જ્યારે સ્પીડ પકડી ત્યારે જ કંઈક અસાધારણ લાગ્યુ હતું. અચાનક પાંચથી દસ સેકન્ડમાં બધુ રોકાઈ ગયું અને સન્નાટા પછી ગ્રીન અને વ્હાઈટ લાઈટ્સ ઓન થઈ ગઈ. એવું લાગ્યું હતું કે પાઈલટે ટેકઓફ માટે તમામ શક્તિ લગાવી દીધી અને એની મિનિટોમાં તો પ્લેન હોસ્ટેલની બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું.
મારી આંખો સામે એર હોસ્ટેસ…
વિશ્વાસે કહ્યું કે જે સીટના ભાગમાં બેઠો હતો, ત્યાં બિલ્ડિંગના નીચેના હિસ્સા સાથે ટકરાયું હતું અને ઉપરના ભાગમાં આગ લાગી ગઈ હતી, જેમાં અનેક લોકો ફસાયા હતા અને એ જ વખતે હું સીટ સહિત જોરથી નીચે પટકાયો હતો. હું જેમ તેમ કરીને ભાગ્યો હતો અને દરવાજો તૂટી ગયો હતો અને સામે ખાલી જગ્યા જોઈ હતી. મેં બહાર નીકળવાની કોશિશ કરી હતી. બીજી બાજુ દીવાલ હતી, પણ ત્યાંથી કોઈ બહાર નીકળી શક્યું નહોતું. રમેશ વિશ્વાસે કહ્યું કે મારી આંખો સમક્ષના પ્રવાસીઓ બળી રહ્યા હતા, જેમાં બે એર હોસ્ટેસ, અંકલ-આંટી, પરંતુ એમનો જીવ બચી શક્યો નહીં. હું જેમ તેમ કરીને બહાર આવવામાં સફળ થયો એટલે બચ્યો.
ભાઈ સાથે કરી રહ્યો હતો મુસાફરી
બ્રિટનના લેસ્ટર નિવાસી રમેશ વિશ્વાસ અને તેના બે ભાઈ મુસાફરી રહી રહ્યા હતા. વિશ્વાસના એક ભાઈએ કહ્યું હતું કે અમારી વિશ્વાસ સાથે વાત થઈ હતી, તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, પરંતુ અન્ય બીજા ભાઈ અજય અંગે કોઈ જાણકારી નથી. અમે તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બીજી ફ્લાઈટથી ભારત આવવા રવાના થયા છે. જોકે, વિશ્વાસ બચ્યા પછી પરિવારના સભ્યોએ કહ્યું હતું કે વિશ્વાસ બચ્યો એનો સંતોષ છે, પરંતુ અજય અંગે કોઈ જાણ નથી તેનાથી પરિવાર પરેશાન છે. સમગ્ર પરિવારના સભ્યો આઘાતમાં છે, જ્યારે તેના મિત્રો અને પડોશીઓ પણ ચિંતિત છે.