June 30, 2025
ટોપ ન્યુઝ

IPL વિજય રેલીથી લઈ ધાર્મિક મેળા સુધી: અઢી દાયકામાં ‘નાસભાગ’થી કેટલા નિર્દોષોએ જીવ ગુમાવ્યાં?

Spread the love

બેંગલુરુ પહેલી વખત આઈપીએલની ટ્રોફી જીત્યાની ખુશી 24 કલાક પૂરા થયા નહીં ને માતમમાં ફેરવાઈ ગઈ. વિજય રેલી વખતે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ થઈ અને આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા. આ વર્ષે નાસભાગની આ કોઈ પહેલી ઘટના નથી. છેલ્લા 22 વર્ષમાં તો સેંકડો લોકો ભાગદોડના ભોગ બન્યા, જેમાં અનેકના મોત થયા પછી આ મુદ્દે જનતામાં ઉન્માદ ઘટવાનું નામ લેતો નથી. આ વર્ષે બનેલી ભાગદોડની અનેક દુર્ઘટનાનો સમાવેશ થાય છે, જેમાં મંદિરના મહોત્સવની ભાગદોડ હોય કે રેલવે સ્ટેશન કે પછી મહાકુંભની ઘટનામાં પચાસથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અઢી દાયકામાં તો લગભગ સેંકડો કરતા વધુ લોકો ભોગ બન્યા છે.

સંગમમાં ભાગદોડને કારણે 30 લોકોનાં મોત
ત્રીજી મેના ગોવાના શિરગાઓ ગામમાં શ્રી લૈરાઈ દેવી મંદિરના ઉત્સવમાં સ્ટેમ્પેડને કારણે છ લોકોના મોત થયા હતા, જ્યારે સેંકડો લોકોને ઈજા પહોંચી હતી. પંદરમી ફેબ્રુઆરીના નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14 અને પંદર પર ભાગદોડ મચી હતી. આ નાસભાગના બનાવમાં 18 લોકોનાં મોત થયા હતા, જ્યારે પંદર લોકોને ઈજા પહોંચી હતી. એના પૂર્વે 29મી જાન્યુઆરીના મહાકુંભના સંગમના સ્થળે ભાગદોડ થઈ હતી. મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડમાં 30 લોકો માર્યા ગયા હતા અને 60 લોકોને ઈજા પહોંચી હતી. આઠમી જાન્યુઆરીના આંધ્ર પ્રદેશના તિરુમાલા સ્થિત વૈકુંઠ દ્વારના દર્શન માટે ટિકિટ લેવાની ભાગદોડમાં છ ભક્તના મોત થયા હતા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી.

હાથરસની નાસભાગમાં 121 લોકો મોતને ભેટ્યાં
સૌથી મોટું સ્ટેમ્પેડ જુલાઈ 2024માં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં થયું હતું. હાથરસ જિલ્લામાં નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાના એક ધાર્મિક કાર્યક્રમમાં નાસભાગ થઈ હતી. ધાર્મિક કાર્યક્રમમાં હજારો ભક્તોની ભીડ ઉમટી હતી, જ્યાં નાસભાગને કારણે 121 લોકોએ જીવ ગુમાવ્યા હતા તથા સેંકડો લોકોને ઈજા પહોંચી હતી. 2013માં મધ્ય પ્રદેશ રતનગઢના મંદિરમાં નાસભાગમાં 115 લોકોનાં મોત થયા હતા. મંદિરમાં દેવીમાતાની પૂજા માટે દોઢ લાખથી વધુ લોકો એકત્ર થયા ત્યારે દુર્ઘટના ઘટી હતી.

2004માં નાશિકમાં કલારામમાં સર્જાઈ મોટી હતી દુર્ઘટના
ઓક્ટોબર, 2004માં દશેરાના ઉત્સવ વખતે મહારાષ્ટ્રના નાશિકના કલારામ સંસ્થાન મંદિરમાં ભાગદોડમાં 300 લોકોના મોત થયા હતા.
બે સૌથી ભયાનક સ્ટેમ્પેડ 2008માં રાજસ્થાનના ચામુંડાનગર મંદિરમાં થયું હતું, જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ એકત્ર થયા પછી નાસભાગમાં 250 લોકોના મોત થયા હતા, જ્યારે બીજું મહારાષ્ટ્રમાં વાઈ શહેરમાં મંધારદેવી મંદિરમાં નાસભાગમાં 265 લોકો મોતને ભેટ્યા હતા. મંદિર સુધી પહોંચનારી સીડી તૂટી પડવાને કારણે નાસભાગ થઈ હતી. ભારત ધીમે ધીમે વિકસિત રાષ્ટ્ર બનતું જાય છે, જેમાં આધુનિકતાની સાથે શિક્ષણમાં વધારો થઈ રહ્યો છે, પણ વધતી ગરીબી અને શિસ્તના અભાવને કારણે હજુ પણ નિર્દોષ લોકો આ પ્રકારની દુર્ઘટનાનો ભોગ બનતા રહે છે એનો ઉકેલ લાવવાનું જરુરી છે અથવા એનાથી દૂર રહેવા માટે લોકોને જાગૃત કરવાનો વખત આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!