લોણાર લેકમાં જળસ્તર વધ્યું: કુદરતી ‘આફત’ની આશંકા?
મહારાષ્ટ્રનું લોણાર સરોવર, અરબ સાગરનો ઉકળાટ અને કચ્છના ભૂકંપના આંચકા: શું કુદરત કોઈ મોટો સંકેત આપી રહી છે?

મહારાષ્ટ્રના જાણીતા લોણાર લેકનું પાણીનું સ્તર વધી રહ્યું છે, જે વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. એની સાથે અરબ સાગરમાં પણ પાણીમાં ઉકળાટ અને મોટી રિંગમાંથી બોટ ડૂબતા બચી જવાની બાબત ચિંતાનો વિષય છે, તેમાંય ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપના અવિરત આંચકા પણ ચિંતા ઉપજાવી છે. હકીકતમાં આ કોઈ મોટી કુદરતી આફતનો સંકેત છે કે બીજું કંઈ એની પણ વૈજ્ઞાનિકોએ નોંધ લેવી જોઈએ.
એક કરતા અનેક પરિબળો ચિંતા ઉપજાવનારા છે, જેમાં બુલઢાણાના જાણીતા લોણાર લેકમાં પાણીના સ્તરમાં વધારાની બાબત ચોંકાવનારી છે. આ બાબતે મુંબઈ હાઈ કોર્ટે પણ સ્વયં નોંધ લીધી છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી લોણાર લેકના પાણીના સ્તરમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. સરોવરની આસપાસના જળસ્ત્રોતો અને ઝરણામાંથી પાણીના સ્તરમાં વધારો પણ થયો છે, જેને કારણે જળસ્તર લગભગ પંદરથી 20 ટકા વધ્યું છે.

જળસ્તરમાં વધારાને કારણે કિનારા નજીકનું મહાદેવનું મંદિર જળમગ્ન થઈ રહ્યું છે. દુનિયાના જાણીતા કલમજા માતા મંદિરના ગર્ભગૃહમાં પાણી ઘૂસી ગયા છે. મંદિર સામેના દીપસ્તંભ, જે પહેલા જોવા મળતા હતા, પરંતુ હવે જોવા મળતા નથી.
પર્યાવરણશાસ્ત્રીઓના મતાનુસાર આ લેક ખારાપાણીનું સરોવર છે. છેલ્લા ૩-૪ મહિનાથી, મીઠા પાણીના સ્ત્રોત તળાવમાં ભળી રહ્યા છે, જેના કારણે તેના ક્ષારયુક્ત ગુણધર્મો જોખમમાં મુકાયા છે. આશ્ચર્યજનક રીતે, હવે પાણીમાં માછલીઓ દેખાઈ રહી છે, જે ખારા પાણીના તળાવની કુદરતી રચના માટે હાનિકારક હોઈ શકે છે. નિષ્ણાતો પણ કહે છે કે જળસ્તરમાં વધારા માટે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પણ આ બાબત ચોક્કસ સંશોધનનો વિષય છે.
આ મુદ્દે કોર્ટે ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે, જેમાં કોર્ટે એમેક્સ ક્યુરીની નિમણૂક કરી છે અને સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે. એવું કહેવાય છે કે ઉલ્કાની ટક્કરથી બનેલું લોનાર તળાવ વૈશ્વિક સંશોધન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, વિશ્વભરના પ્રવાસીઓ અને સંશોધકો તેનો અભ્યાસ કરવા માટે તેની મુલાકાત લે છે. એના સિવાય અરબ સાગરમાં સર્જાયેલી રિંગ અને ભૂકંપના આંચકાની બાબત એ સૂચક સંકેત છે, જેનું સંશોધન પણ જરુરી છે.
