June 30, 2025
ટ્રાવેલધર્મવાંચન વૈવિધ્યમહોમ

Sunday Special-મંદિર તારું વિશ્વ રુપાળુંઃ એકલિંગજી ટેમ્પલની વિશેષતા ખબર છે?

Spread the love

દેશમાં રાજસ્થાનને હરવા-ફરવા માટે ઉત્તમ સ્ટેટ માનવામાં આવે છે. બોર્ડર (પાકિસ્તાની સરહદ) કમ રણ સ્ટેટ ગણાતા રાજસ્થાન હેરિટેજ અને રાજા રજવાડાના નગરો માટે જાણીતું છે. જયપુર, જોધપુર, જેસલમેર જેવા અનેક શહેરો દેશના જ નહીં, પણ વિદેશી પર્યટકો માટે વર્ષે લાખોની સંખ્યામાં જાય છે, પરંતુ અહીંનું એક મંદિર સૌ સનાતનીઓ માટે જાણીતું છે. પ્રાચીન મંદિરના ઈતિહાસ સાથે એની બાંધણી જોઈને સૌ ભક્તો પણ મુખે ચોક્કસ બોલી ઉઠે કે કેટલું ભવ્ય મંદિર છે. વાત કરીએ રાજસ્થાનના ભવ્ય એકલિંગજી મંદિરની, જ્યાં મંદિરના પરિસરમાં 108 મંદિર આવેલા છે.
ભગવાન શિવને સમર્પિત છે મંદિર

ચાલો એક લટાર મારી લઈએ રાજસ્થાનના શહેર ઉદયપુરના એકલિંગજી મંદિરની. ઉદયપુર જિલ્લામાં આવેલું કૈલાશપુરી એટલે એકલિંગજીનું મંદિર પર્વતોની વચ્ચે આવેલું છે. મેવાડ શૈલીના પથ્થરોથી નિર્મિત શ્રી એકલિંગજી ઉદયપુર અને મેવાડના સૌથી જાણીતા મંદિર પૈકીનું એક છે. મંદિરમાં શિવજીના ચાર ચહેરા છે, જે ભગવાન શિવના ચાર સ્વરુપનો નિર્દેશ કરે છે, જેમાં પૂર્વ દિશાનો ચહેરો સૂર્ય દેવ, પશ્ચિમ દિશાનો ચહેરો બ્રહ્મા, ઉત્તરના વિષ્ણુ અને દક્ષિણનો ચહેરો રુદ્ર સ્વયં ભગવાન શિવ છે. મંદિર કેટલું પૌરાણિક છે અને કઈ રીતે પહોંચી શકાશે એ પણ જાણીએ મંદિર ક્યારે ખુલ્લું રહે છે એ પણ ફટાફટ જાણી લઈએ. સૌથી પહેલા તો તમારી જાણ ખાતર જણાવીએ કે એકલિંગજીનું મંદિર ભવવાન શિવજીને સમર્પિત છે, જ્યારે ઉદયપુરમાં આવેલું છે. મંદિરની બાંધણી વાસ્તુશિલ્પના આધારિત છે, જ્યારે ભગવાન ભોળાનાથના દર્શન કરવાનું પણ વિશેષ મહાત્મય છે.
પ્રાણપ્રતિષ્ઠા પંદરમી સદીમાં થઈ

એકલિંગજી મંદિરમાં ભગવાન શિવજીની મૂર્તિ છે, જ્યારે મંદિરમાં સ્થાપિત શિવલિંગ કાળા પથ્થરના બનેલા છે. મંદિરના દક્ષિણમાં આવેલી દીવાલ પર શિલાલેખ છે, જેનાથી જાણવા મળે છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાપ્પા રાવલે કરી હતી, ત્યારપછી મહારાણા રાયમલજી દ્વારા પંદરમી શતાબ્દી (1473થી લઈને 1509 વચ્ચે)ની આસપાસ કરવામાં આવી હતી.
એકલિંગજીના મંદિરની ખાસિયત છે કે બે માળનું છે, જ્યારે મંદિરના પરિસરમાં બે કુંડ આવેલા છે. મંદિરના એન્ટ્રન્સમાં નંદીજી બિરાજેલા છે. નંદિની મૂર્તિકલા પણ શાનદાર છે. પ્રવેશદ્વારની નીચે ચાંદીનો એક સાપ પણ છે, જ્યારે મંદિરના દરવાજામાં ભગવાન ગણપતિ અને કાર્તિકેયની મૂર્તિ છે. બંને પિતાજીની રક્ષા માટે દ્વારપાલના અવતારમાં જોવા મળે છે. મંદિરમાં એકલિંગજીની મૂર્તિ સિવાય યમુના અને સરસ્વતીની મૂર્તિ પણ આવેલી છે. મંદિરની ઉત્તર દિશામાં કુંડ (કર્જ) અને બીજો તુલસી કુંડ આવેલા છે.
મુસ્લિમોના આક્રમણે મંદિરને ક્ષતિગ્રસ્ત કર્યું
એકલિંગજી મંદિરના ઈતિહાસની વાત કરીએ તો પંદરમી સદીના ઐતિહાસિક ગ્રંથોમાં એકલિંગ મહાત્મયનો ઉલ્લેખ છે. પાંડુલિપિ અનુસાર મંદિરની ઉત્પતિ ઈસ 734માં થઈ હતી. રાજા બપ્પા રાવલે આ મંદિરનો શિલારોપણ કર્યો હતો. જોકે, સમયાંતરે મુસ્લિમ રાજાઓના આક્રમણોને કારણે મંદિરની મૂર્તિઓ પણ ક્ષતિગ્રસ્ત કરવામાં આવી હતી, જેના નિશાન આજે પણ જોવા મળે છે. એકલિંગજી મેવાડના રાજા અને રાજપૂતોના મુખ્ય આરાધ્ય દેવ માનવામાં આવે છે.
મંદિરનો સમય અને કઈ રીતે પહોંચશો?
મંદિર મોટા ભાગે અઠવાડિયાના તમામ દિવસોમાં ખુલ્લું રહે છે, જ્યારે સવારના ચાર વાગ્યાથી સાંજના 7.30 વાગ્યા સુધી ચાલુ રહે છે. મંદિરમાં પહેલી આરતી 5.30, બીજી સવારના 8.15, ત્રીજી 9.15, ચોથી 11.30, પાંચમી 3.30, ત્યારબાદ સાંજે 4.30, પાંચ વાગ્યે અને છેલ્લી 6.30 વાગ્યે થાય છે. એકલિંગજી મંદિર ઉદયપુરથી 22 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉદયપુર રેલવે સ્ટેશનની સાથે બાય રોડ પણ પહોંચી શકો છો. ખાનગી વાહનની સાથે સરકારી બસથી પણ ઉદયપુરથી એકલિંગજી મંદિર જઈ શકો છો. એકલિંગજી સિવાય ગણેશજીનું મંદિર, અંબા માતાજીનું મંદિર, કાલિકામાતા મંદિરની પણ મુલાકાત લઈ શકો છો. મહાશિવરાત્રિમાં ભક્તો પગપાળા મંદિરના દર્શને કરવા પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!