Ram Navami 2025: આજની રામનવમીનું મહત્ત્વ અને પૂજા કરવાના ફાયદા જાણો?
આજે રામ નવમીનું ભગવાન રામનો જન્મ અને એની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ રામથી લઈને હિંદુ સનાતન ધર્મના પ્રતીક માનવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન રામનો જન્મ કર્ક રાશિમાં બપોરે 12 વાગ્યે થયો હતો. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસોમાંનો એક ગણવામાં આવે છે. આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે. આજના દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમામ મુશ્કેલીઓથી છૂટકારો મળે છે. સાથે જ આ દિવસે દેવી દુર્ગાના નવમાં રૂપ સિદ્ધિદાત્રીની પણ પૂજા કરવામાં આવે છે.
આજે ક્યારે ભગવાન રામની પૂજા કરશો
પંચાગ મુજબ ચૈત્ર સુદ નવમી તિથિ પાંચમી એપ્રિલના રોજ સાંજે 07:26 વાગ્યાથી શરૂ થશે અને 6 એપ્રિલ 2025ના રોજ સાંજે 07:22 વાગ્યે સમાપ્ત થશે. હિંદુ ધર્મમાં ઉદય તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, તેથી આ વર્ષે આજે રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસ દરમિયાન રામ ભગવાન મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે અને રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પૂજા કરવાનો સવારના 11 વાગ્યાથી બપોરના 1.29 વાગ્યા સુધી કરી શકો છો. ભગવાન રામનો જન્મ બપોરના 12.24 વાગ્યે થશે, તેથી આ વખતે પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય ગણાશે.
ત્રેતાયુગમાં અસૂરોના નાશ કરવા માટે રામ ભગવાને લીધો જન્મ
હિન્દુ ધર્મ માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ત્રેતાયુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો. અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા હતા. ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો. ભગવાન શ્રીરામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીર પુરૂષના રૂપમા ખુદને સ્થાપિત કર્યા હતા, તેથી તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાય છે. અત્યંત કપરા સંજોગોમાં પણ ભગવાન શ્રી રામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ કર્યો ન હતો. આ બધા ગુણોને લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તેથી તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવાયા.
અયોધ્યામાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે
હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે રામ નવમીનું ઘણું મહત્વ છે. રામ નવમીના દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અને કાર્યક્રમો કરે છે. ભગવાન રામના મંદિરો ખૂબ જ સુશોભિત છે અને ભગવાન રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ શણગારવામાં આવી છે. સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યાને આ દિવસે વિશેષ રીતે શણગારવામાં આવે છે. અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો અને તપસ્વીઓ દૂર-દૂરથી પહોંચીને રામજન્મભૂમિ પર પ્રણામ કરે છે.
રામ ભગવાનની પૂજા કરવાથી સમૃદ્ધિમાં વધારો થાય
રામનવમી માત્ર એક તહેવાર જ નહીં પરંતુ ધર્મ અને આસ્થાનું પ્રતીક પણ છે. આ દિવસે ભગવાન શ્રી રામના જીવનમાંથી પ્રેરણા લઈને સત્ય, સદાચાર અને ન્યાયના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.