June 30, 2025
ટોપ ન્યુઝ

કેરળમાં કેદારનાથ જેવી આફતઃ 4 ગામ જમીનદોસ્ત, મૃત્યુઆંક વધીને 174

Spread the love

વાયનાડઃ કેરળના પહાડી જિલ્લો વાયનાડ કુદરતના પ્રકોપનું ભોગ બન્યું છે, જ્યાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનને કારણે કુલ મૃત્યુઆંકની સંખ્યા 174 થઈ છે. 48 કલાક પછી પણ બચાવ કામગીરી ચાલુ છે, જ્યારે પીડિતોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે તમામ એજન્સી કોશિશ કરી રહી છે. હજુ પણ સેંકડો લોકો ગુમ છે, જ્યારે સર્ચ ઓપરેશન પણ ચાલુ છે પણ આ જ કેરળ રાજ્ય અનેક આફતોમાંથી પસાર થયું છે. વાયનાડની આફતને રાજ્ય સરકારે કુદરતી આપત્તિ જાહેર કરી છે.
કેરળના વાયનાડમાં આવેલી આફતે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. 22,000ની વસ્તીવાળા ચાર ગામ ફક્ત ચાર કલાકમાં તબાહ થઈ ગયા છે. સેંકડો લોકો દટાઈ ગયા છે, જ્યારે કૂલ મૃતક સંખ્યા વધીને 174 થઈ છે, હજુ સેંકડો લોકો ગુમ છે. સતત પડી રહેલા વરસાદને કારણે બચાવ-રાહતની કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. આ આફત 11 વર્ષ પહેલા કેદારનાથમાં આવેલી આફતના સમાન છે, જે લોકો રાતે સૂતા હતા એ લોકો ફરી ઊઠ્યા જ નહોતા. કેદારનાથમાં અલકનંદા, ભગીરથી અને મંદાકિનીમાં પૂર આવ્યા પછી સમગ્ર રાજ્યમાં ભૂસ્ખલનને કારણે જાનહાનિ થઈ હતી. 10,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે લાખો લોકો ઘરવિહોણા બન્યા હતા. ચોરાબારી ગ્લેશિયર પરના લેક તૂટવાને કારણે કેદારનાથથી લઈને હરદ્વાર સુધી અસર થઈ હતી.
એનું જ પુનરાવર્તન વાયનાડમાં થયું. 2,100 મીટરની ઊંચાઈ પર વસેલા વાયનાડમાં ભૂસ્ખલનને કાણે ચુરલમાલા, અટ્ટામાલા, નુલપુઝા અને મુંડક્કઈમાં સંકટ આવ્યું. મોટા મોટા પથ્થર અને કાટમાળના ચપેટમાં ગામ આવી ગયા અને સેંકડો ઘરોમાં દટાઈ ગયા. વાયનાડમાં આવેલી આફતે ચારેય ગામને જમીનદોસ્ત કરી નાખ્યા છે. બચાવ કામગીરી વખતે લેન્ડસ્લાઈડથી પચાસ કિલોમીટર દૂર 10 મૃતદેહ મળ્યા છે, જ્યારે ચલિયાર નદીમાંથી બે અને મુંડાકાઈમાંથી આઠ મૃતદેહ મળ્યા હતા. હવામાન ખરાબ હોવાને કારણે 11 જિલ્લામાં સ્કૂલ કોલેજ બંધ રાખવા સાથે બે દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. સરકારી કાર્યક્રમોને પણ મોકૂફ રાખવામાં આવ્યા છે.

છ વર્ષમાં કુદરતે કેરળને મારી જોરદાર થપાટ


2018માં ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદને કારણે પૂર આવ્યું હતું, જેમાં 483 લોકો માર્યા ગયા હતા. વિનાશક કુદરતી આફતોમાંથી બેઠું થયા પછી દર બીજા ત્રીજા વર્ષે ભારે વરસાદનું ભોગ બને છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ અનુસાર 2018માં પૂરને કારણે 3.91 લાખ પરિવારના 14.50 લાખથી વધુ લોકોને રિલીફ કેમ્પમાં પુનર્વસન કરવામાં આવ્યું હતું. ખેતીની દૃષ્ટિએ 57,000 હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું હતું. 2018માં એર ફોર્સ દ્વારા ગર્ભવતિ મહિલાઓને એરલિફ્ટ કરવાની તસવીરો આજે પણ કેરળવાસીના દિમાગમાં ઘર કરી ગઈ છે. 2018ની આફત પછી પણ રાજ્યને બેઠું કરવામાં આવ્યું પરંતુ આડેધડ થઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજને કારણે પર્યાવરણ જોખમાઈ રહ્યું છે.
2018 પછી 2019માં પણ વિનાશક આફતનું નિર્માણ થયું હતું. વાયનાડથી પુથુમાલામાં ભૂસ્ખલનને કારણે અનેકના મોત થયા હતા, ત્યારબાદ 2021માં વરસાદને કારણે કોટ્ટયમ જિલ્લા સહિત કેરળ રાજ્યમાં 53 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2022માં વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જ્યારે હજારો લોકોને રાહત છાવણીમાં ખસેડવામાં આવ્યા હતા. 2015થી 2022ની વચ્ચે રાજ્યમાં 3,782 વખત ભૂસ્ખલન થયું હતું, જેમાંથી એકલા કેરળમાં 2,239 કેરળનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!