78 વર્ષ 900 મોતઃ નેપાળમાં એરપોર્ટ પર પ્લેન ક્રેશમાં 18 મોત, કોણ જવાબદાર?
કાઠમંડુઃ નેપાળના પાટનગર કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે ઉડાન ભરતી વખતે ફ્લાઈટ અકસ્માતનો ભોગ બની. આ અકસ્માતમાં 18 લોકોના જીવ ગયા. નેપાળમાં જ્યારથી ફ્લાઈટ સેવા શરુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં અકસ્માતનો સિલસિલો અને એમાં માર્યા જનારાની સંખ્યા 900 જેટલી થઈ છે. બુધવારે સવારે બોમ્બાર્ડિયર સીઆરજે 200 એરક્રાફ્ટની સૌર્ય એરલાઈન્સનું વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. આ ફ્લાઈટમાં બે ક્રૂ મેમ્બર અને 17 ટેક્નિશિયન સવાર હતા. આ દુર્ઘટનામાં ફક્ત મનીષ શંખ્ય જ બચી ગયો, પરંતુ ઈજા પહોંચ્યા પછી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેપાળના એરપોર્ટ પર એક પછી એક ગંભીર અકસ્માતો વધતા જવાથી સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આખરે નેપાળ જેવો દેશ પણ પોતાના દેશને સુરક્ષિત હવાઈ સેવા પૂરી પાડવામાં શા માટે નિષ્ફળ જઈ રહ્યું છે. ક્યારેક હવામાન તો ક્યારેક બેદરકારી કે પછી ક્યારેક ટેકનિકલ કારણસર મેજર એક્સિડન્ટ થતા રહે છે. બુધવારે પણ આ જ પ્રકારના અકસ્માતમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા પછી ફરી એક વાર નેપાળના એવિયેશન સેક્ટરની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માતના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી યૂઝરે સેફ્ટી-સિક્યોરિટી મુદ્દે સવાલ કર્યા હતા.
This is scary video of the last moments of Saurya Airlines CRJ-200ER that crashed earlier today in Kathmandu. pic.twitter.com/3dTt7HxJvi
— Tahir Imran Mian ✈ (@TahirImran) July 24, 2024
નેપાળ ખરાબ એવિયેશન સેફ્ટી માટે જાણીતું બની ગયું છે અને એના માટે એક નહીં, પરંતુ અનેક કારણ જવાબદાર છે. એક તો સૌથી પહેલા પહાડી વિસ્તાર, ખરાબ હવામાન, જૂના વિમાન અને નબળી મરમ્મતની કામગીરીને કારણે મુશ્કેલી ઊભી થઈ રહી છે. સિવિલ એવિયેશન ઓથોરિટી ઓફ નેપાળના એક નિવેદનમાં જણાવ્યું છે કે બુધવારે સવારે 11.11 વાગ્યાના સુમારે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટે ઉડાન ભરી હતી. બે નંબરના રનવે પરથી ઉડાન ભર્યા પછી રાઈટ સાઈડ ટર્ન લીધો અને અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ નક્કર કારણ જાણવા મળ્યું નથી. ટેકઓફ વખતે વિંગ ટિપ જમીનથી ટકારાયા પછી ઊંધું વળી ગયું હતું, ત્યારબાદ આગ લાગ્યા પછી રનવે પહેલા ખાઈમાં પડ્યું હતું. અમુક નિષ્ણાતોના દાવા અનુસાર અકસ્માત માટે ક્લાઈંબ ફેઈલ્યોર હતું. એરક્રાફ્ટે ઉડાન ભર્યા પછી નિર્ધારિત ઊંચાઈ પર પહોંચ્યું નહોતું. હવામાનની વાત કરીએ તો અકસ્માત વખતે વરસાદ પણ પડી રહ્યો નહોતો, પણ વિઝિબિલિટી ઝાંખી હતી.
અહીં એ જણાવવાનું કે બ્યુરો ઓફ એરક્રાફ્ટ એક્સિડન્ટ આર્કાઈવ્સના અહેવાલ અનુસાર નેપાળમાં 1946થી અત્યાર સુધીમાં 68 અકસ્માત થયા છે, જેમાં 900 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખરાબ હવામાન સાથે ટેક્નિકલ ફેઈલ્યોરની સાથે રન-વે ખરાબ અને પાઈલટ બિનઅનુભવી હોવાને કારણે અકસ્માત થાય છે. કાઠમંડુ એરપોર્ટ પણ પાયલટ માટે મુશ્કેલ છે. રનવે 3,350 મીટર લાંબો છે, જે અન્ય ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતા નાનો છે, જ્યારે એરક્રાફ્ટ પણ જૂના છે. ખામીયુક્ત હોવાને કારણે 2013માં યુરોપિયન યુનિયને પણ નેપાળના વિમાનોને યુરોપિયન એરસ્પેસમાં પ્રવેશમાં પ્રતિબંધ મૂક્યો હતો.
