જેસલમેર બસ અકસ્માત: એક જ પરિવારના પાંચ સભ્ય કાળનો કોળિયો બન્યા, વૃદ્ધ માનો આશરો છિનવાયો
રાજસ્થાનના કાળા ઈતિહાસમાં યાદ રહેશે આ ભયાનક દુર્ઘટના, ટૂંકા સર્કિટ કે ફટાકડા: જાણો ઈન્સાઈડ સ્ટોરી?

રાજસ્થાનના જેસલમેરમાં મંગળવાર અમંગળ સાબિત થયો. જેસલમેર-જોધપુર હાઈવે પર જનારી બસ આગમાં ગણતરીના કલાકોમાં ભષ્મિભૂત થઈ ગઈ. મંગળવારે બપોરના 3.30 વાગ્યે એક ચાલતી એસી સ્લીપર બસમાં અચાનક આગ લાગી, જેમાં 20 લોકો બળી ગયા. 16 પ્રવાસી તો ગંભીર રીતે બળી ગયા, જેમને જોધપુર હોસ્પિટલાં ખસેડવામાં આવ્યા છે. બસમાં પચાસથી વધુ પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા, જે જોધપુર જઈ રહ્યા હતા, પણ મૃતકો અચાનક કાળનો કોળિયો બની ગયા, જેમાં એક આખો પરિવાર શિકાર બન્યો. જાણીએ સમગ્ર બનાવની ઈન્સાઈડ સ્ટોરી.
આ બસ અકસ્માતનો ભોગ બનેલા 20 લોકોમાંથી એક પરિવાર તો આખો હોમાઈ ગયો. એક પરિવારના સભ્યોની ઓળખ થઈ, જેમાં મહેન્દ્ર મેઘવાલ (ઉંમર 35 જેસલમેર ડેપો વર્કિંગ) પોતાની પત્ની અને બાળકો સાથે દિવાળી મનાવવા વતન જઈ રહ્યા હતા, પણ અચાનક અકસ્માતનો ભોગ બન્યાં. મહેન્દ્રની ઈંતજારી કરતી વૃદ્ધ માના સપના રોળાઈ ગયા છે. જોધપુરથી 100 કિલોમીટર દૂરના ડેચુ ગામના રહેવાસી મહેન્દ્ર પરિવાર સાથે વતન જવા નીકળ્યો પણ ઘરે પહોંચી શક્યા નહીં. બસની આગમાં પત્ની પાર્વતી, દીકરી ખુશ્બુ-દીક્ષા અને દીકરો શૌર્ય દુનિયા છોડી ગયા, પણ કમનસીબ વાત એ છે કે હવે એ વૃદ્ધ માને દીકરો નહીં મળે. એક પરિવારના પાંચ સભ્યની સાથે બીજા બદનસીબ અન્ય લોકોનાં મોત થયા પણ આ અકસ્માત રાજસ્થાનના કાળા ઈતિહાસમાં સૌને યાદ રહેશે.
અચાનક ચાલતી બસમાં આગ લાગી ગઈ અને અચાનક ડઝનથી વધુ લોકો ભોગ બની ગયા. આ બનાવ મુદ્દે સાક્ષીઓએ કહ્યું કે બસના પાછળના ભાગમાં ધુમાડો નીકળતા અચાનક અફરાતફરી મચી ગઈ હતી. ડ્રાઈવરે તરત બસ રસ્તાની બાજુ કરવાની કોશિશ કરી હતી, પરંતુ અચાનક આગે પૂરી બસને લપેટમાં લઈ લીધી હતી. અમુક પ્રવાસીઓએ તો બસમાંથી જીવ બચાવવા માટે કૂદી પડ્યા હતા, પરંતુ અમુક લોકો ફસાઈ ગયા હતા.
જોતજોતામાં અનેક લોકો આગમાં સપડાઈ ગયા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતક લોકોની ઓળખ કરવાનું મુશ્કેલ બન્યું. જિલ્લા વહીવટી અધિકારીએ કહ્યુ કે મૃતકની ઓળખ ડીએનએ ટેસ્ટને આધારે કરવામાં આવશે. ડીએનએ ટેસ્ટ માટે અજમેર અને બિકાનેરથી સ્પેશિયલ ટીમને બોલાવવામાં આવી છે. સ્થાનિક વિધાનસભ્યએ આ અકસ્માતમાં 20 લોકો માર્યા ગયા હોવાનું જણાવ્યું. પ્રાથમિક તપાસમાં બસમાં આગ માટે શોર્ટ-સર્કિટનું કારણ જણાવ્યું છે. સ્થાનિકોએ કહ્યું કે બસ જેસલમેરથી રવાના થયાની દસ મિનિટમાં ધુમાડા પછી આગ લાગી હતી. બસમાં ગેસ લીક થયા પછી શક્ય છે કે શોર્ટ સર્કિટ થયા પછી આગ લાગી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ કહ્યું કે બસની ડેક્કીમાં ફટાકડા રાખવામાં આવ્યા હોવાથી આગ ફાટી નીકળી હતી.
આ અકસ્માત પછી પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ બચાવ કાગમીરી હાથ ધરી હતી. તમામ ઘાયલ લોકોને જેસલમેરની જવાહર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી, જ્યાં 16 પ્રવાસીને જોધપુર રેફર કરવામાં આવ્યા હતા. આ કેકે ટ્રાવેલ્સની હતી, જેમાં 70 ટકા બળી ગયા હતા. અકસ્માત અંગે રાજ્ય સરકારે સંવેદના વ્યક્ત કરી હતી. હોસ્પિટલના ડોક્ટરે મૃતકોની ઓળખ માટે પરિવારજનોને સંપર્ક કરવાની અપીલ કરી હતી, જેથી ડીએનએ પણ ટેસ્ટ કરવામાં સહકાર આપવાની વાત કરી છે.
