પાકિસ્તાન નરમ પડ્યુંઃ ભારતના બીએસએફના જવાનને 20 દિવસ પછી છોડ્યો
નવી દિલ્હી: પાકિસ્તાન દ્વારા 20 દિવસથી વધુ સમયથી અટકાયતમાં રાખવામાં આવેલા બીએસએફના જવાનને મુક્ત કરવામાં આવ્યો છે. આ જવાન શરુઆતની તપાસ દરમિયાન ગુમ થયો હતો અને પાકિસ્તાનમાં પ્રવેશ કરી ગયો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાન પૂર્ણમ કુમાર શો 23 એપ્રિલના પાકિસ્તાનની આર્મીએ ધરપકડ કરી હતી. પહલગામ હુમલા વચ્ચે જવાનની ધરપકડ પછી ભારત તેને છોડાવવા માટે અનેક વખત અનુરોધ કર્યા પછી આજે સત્તાવાર રીતે સવારે 10.30 વાગ્યે પાકિસ્તાને ભારતને સોંપ્યો હતો.
અટારી બોર્ડર પરથી જવાનનું શાંતિપૂર્ણ પ્રત્યર્પણ
બીએસએફના જવાનના પ્રત્યર્પણ અમૃતસરની અટારી સ્થિત સંયુક્ત ચેક પોસ્ટના માધ્યમથી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. આ અગાઉ ભૂલથી ભારતીય જવાન આંતરરાષ્ટ્રીય સીમા પાર કરતા તેની ધરપકડ કરી હતી, ત્યાર બાદ પાકિસ્તાન સાથે ભારત સરકાર તેને સુરક્ષિત રીતે છોડવાની અપીલ કરવામાં આવી હતી. પાકિસ્તાની સુરક્ષા દળોએ તેને પકડીને પૂછપરછ માટે અટકાયતમાં રાખ્યો હતો. ભારત સરકારે પાકિસ્તાની સત્તાધીશો સાથે સતત સંપર્કમાં રહીને તેમના મુક્તિ માટે દબાણ બનાવ્યું હતું. આખરે, બંને દેશોની વચ્ચે થયેલી ચર્ચા અને સમજૂતીએ પરિણામ આપ્યું છે અને બીએસએફના જવાનને સલામત રીતે ભારત પરત લાવવામાં આવ્યો છે.
પતિને છોડવા માટે પત્નીએ સરકારને કર્યો હતો અનુરોધ
જવાનના પરત આવતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારે પણ આ ઘટનાને શાંતિપૂર્ણ ચર્ચાના પરિણામ તરીકે ગણાવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે બંને દેશોએ સાવચેત રહેવા પર ભાર મૂક્યો છે. અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે પૂર્ણમ કુમારની પત્ની રજની શો ગર્ભવતી છે તથા પોતાના પતિને પાકિસ્તાનથી છોડાવવા માટે દરેક સ્તરે લોકોને રજૂઆત કરી હતી.
મમતા બેનરજીએ પણ ધરપકડ અંગે વ્યક્ત કરી હતી ચિંતા
આખરે ભારત સરકારે ડિપ્લોમેટિક ચેનલ મારફત પાકિસ્તાન પર દબાણ લાવીને જવાનને છોડવામાં સફળતા મળી હતી. રજનીએ ફિરોઝપુરમાં બીએસએફના કમાન્ડિંગ ઓફિસર સાથે અગાઉ મુલાકાત કરી હતી. બીએસએફના જવાનના આશ્વાસન પછી અમૃતસરથી પોતાના દીકરા, બહેન અને દિયર સાથે કોલકાતા પરત ફરી હતી. રજની સિવાય પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ બીએસએફના જવાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેની મુક્તિ માટે પ્રયાસ કરવાની વાત જણાવી હતી.