છેલ્લાં પાંચ મહિનામાં 16 વાઘનું નિધન, વન ખાતાના પ્રધાને આપી માહિતી…
મુંબઈ: મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ મહિનામાં રાષ્ટ્રીય પ્રાણી ગણાતા વાઘના મૃત્યુની 16 ઘટના જોવા મળી છે. ગયા વર્ષની વાત કરીએ તો રાજ્યમાં 51 વાઘના મૃત્યુ થયા હતા. વન ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવારે વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ ચોંકાવનારી માહિતી આપી હતી.
રાજ્યમાં સતત વધી રહેલાં વાઘના મૃત્યુના કારણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જંગલની આસપાસમાં રહેતા ગામવાસીઓએ પોતાના ખેતરોમાં ઉગેલા પાકના રક્ષણ માટે કરેલી ઈલેક્ટ્રિક ફેન્સિંગ સૌથી મોટું કારણ છે.
રાજ્યમાં ૨૦૧૮થી મે ૨૦૨૪ દરમ્યાન ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતા ૨૨ વાઘના મોત થયાં છે, જ્યારે ૨૦૨૩માં રાજ્યમાં ૫૧ વાઘના મોત થયા હતાં. જેમાં ૨૬ વાઘનું મૃત્યુ કુદરતી રીતે, ૧૦ વાઘનું મૃત્યુ એક્સિડન્ટને કારણે, બે વાઘનું મૃત્યુ પોઈઝનિંગને કારણે જ્યારે ૯ વાઘના મૃત્યુ ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી જવાને કારણે તો ચાર વાઘના મોત શિકારીનો ભોગ બનવાને કારણે થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ચાલી રહેલા વર્ષની વાત કરીએ તો જાન્યુઆરીથી મે, ૨૦૨૪ એમ પાંચ મહિનામાં જ અત્યાર સુધીમાં ૧૬ વાઘના મૃત્યુ થયાનું નોંધ કરવામાં આવી છે. 16 વાઘમાંથી 8 વાઘનું મૃત્યુ કુદરતી રીતે, બે વાઘના મૃત્યુ એક્સિડન્ટને કારણે, જ્યારે ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી જવાને કારણે એક વાઘનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત અન્ય પાંચ વાઘના મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે, એવી માહિતી પણ સંબંધિત અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
