મોદી સરકાર 3.0માં સતત ત્રીજી વખત NSA તરીકે અજિત ડોભાલની પસંદગી
નવી દિલ્હીઃ મોદી સરકાર 3.0માં અજિત ડોભાલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વિશ્વાસ દેખાડ્યો છે અને ત્રીજી વખત તેમની પણ એનએસએ તરીકે વરણી કરવામાં આવી છે. એટલું જ નહીં પણ વડા પ્રઝાનના મુખ્ય સચિવ તરીકેની જવાબદારી પી કે મિશ્રાને સોંપવામાં આવી છે. આ ઉપરાંત પીએમઓમાં વડા પ્રધાનના સલાહકાર તરીકે અમિત ખરે, તરુણ કપૂરની નિમણૂંક કરવામાં આવી છે.
આ અંગેની માહિતી આપતું પરિપક્ષ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવાવમાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂંક સમિતિ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે રિટાયર્ડ આઈપીએસ અજિત ડોભાલની વરણીને મંજૂરી આપવામાં આવી છે અને આ નિમણૂંક 10મી જૂનથી લાગુ કરવામાં આવશે. ડોભાલની નિમણૂક અંગે જાહેર કરાયેલા આ પત્રમાં વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેમની નિમણૂંક વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ સાથે કે પછી આગામી આદેશ બાદ જ સમાપ્ત થશે.
અહીંયા તમારી જાણ માટે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એ એક બંધારણીય પદ છે અને પીએમનો સૌથી ભરોસાપાત્ર અધિકારી એનએસએ હોય છે. વ્યૂહાત્મક બાબતોની સાથે તેઓ આંતરિક સુરક્ષાના મામલામાં પણ વડાપ્રધાનને મદદ કરે છે. આ ઉપરાંત તેઓ વડા પ્રધાનને સલાહ આપે છે કે કયો નિર્ણય ક્યારે લેવો વધારે યોગ્ય ગણાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અજિત ડોભાલ તેમની ઈમેજ અને કાર્યશૈલી માટે આખી દુનિયામાં જાણીતા છે. અમેરિકા પણ તેમનું પ્રશંસક છે અને અમેરિકાના રાજદૂત એરિક ગારસેટીએ જણાવ્યું હતું કે ભારતના NSA માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ તેઓ એક આંતરરાષ્ટ્રીય ખજાના સમાન છે.
ગયા વર્ષે યોજાયેલા ‘યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET)’ કાર્યક્રમમાં ગારસેટીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, મને અમેરિકા અને ભારત વચ્ચેનો પાયો ઘણો મજબૂત લાગે છે. આ કારણે ભારતીયો અમેરિકનોને પ્રેમ કરે છે અને અમેરિકનો ભારતીયોને ખૂબ જ પ્રેમ કરે છે.
